
Junagadh News: જૂનાગઢ સાવજ દુધ ડેરીના ચેરમેને ગોપાલ ઈટાલિયાને ધમકી આપી છે. ગઈકાલે વંથલીમા ગોપાલ ઈટાલિયાએ સાવજ દુધ ડેરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. સાવજ દુધ ડેરીમા દુધમા કેમિકલ ભેળવવામાં આવે છે. જેથી કેન્સરના દર્દીઓમા વધારો થયો છે. તેમના નિવેદન બાદ ડેરીના ચેરમેન ભડકયા છે.
સાવજ ડેરીના ચેરમેન દીનેશ ખટારીયાએ જણાવ્યું હતું કે, તારી મર્યાદામાં રહેજે. મારી ડેરીનુ નામ જ સાવજ છે. સાવજનો ચાળો કરવો રેવા દે. સાવજનો ચાળો કરનારા હજી બખોલમાથી બહાર નથી આવ્યા. કોના ઈશારે તુ કામ કરે છે તેની મને ખબર છે. વિસાવદરની ભોળી જનતાએ તને મત આપ્યા છે તેની સેવા કર, બીજુ બધુ રહેવા દે.
શું કહ્યું હતું ગોપાલ ઈટાલિયાએ?
વંથલી ખાતે યોજાયેલા સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયાએ ભાજપના નેતા કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભાજપના માણસો જૂનાગઢની સાવજ ડેરીમાં કેમિકલવાળુ દૂધ પેકિંગ કરે છે, જે પીવાથી કેન્સર જેવી ગંભીર બિમારીઓ વધી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપના મળતિયાઓ નકલી મંડળી બનાવી મતદાન કરાવીને ચૂંટણી જીતી જાય છે. ત્યારબાદ ડેરીમાં કેમિકલવાળું દૂધ પેકિંગ થાય છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે. તેમછતાં આપણો આત્મા જાગતો નથી, આપણે હિન્દુ-મુસ્લિમ અને પાકિસ્તાનમાં જ અટવાયેલા છીએ. આ કેમિકલવાળું દૂધ કિરીટ પટેલ અને તેના માણસો પીવડાવે છે.
દૂધની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે. આ દૂધ આપણે પીએ છીએ અને પછી આપણને કેન્સર થાય છે. ભાજપના મળતિયાઓ ડેરીમાંથી કરોડોનું કમિશન મેળવે છે. એટલે તેઓ ચોખ્ખું દૂધ આપી શકતા નથી.