
Junagadh Municipal Corporation Elections 2025: જુનાગઢ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત કોંગ્રેસે એક પણ ઉમેદવારના નામોની સત્તાવાર જાહેરાત કર્યા વગર ઉમેદવારી પત્ર રજૂ કરવાના અંતિમ સમય સુધી લિસ્ટ જાહેર કર્યું ન હતું. ચૂંટણી લડવાની કોંગ્રેસની આ રણનીતિમાં ભાજપ કરતાં કોંગ્રેસ આગળ જોવા મળી રહી હતી. જો કે કોંગ્રેસની આ રણનીતિ ફેઈલ થઈ છે, કારણ કે ઉમેદવારી ફોર્મ ભર્યાના એક દિવસ બાદ કોંગ્રેસના 9 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો પરત ખેંચી લીધા છે.
કોંગ્રેસના 9 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટો ધડાકો થયો છે, જેમાં ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના 9 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા 8 બેઠકો પર ભાજપ ચૂંટણી પહેલા જ જીતી ગયું છે, જયારે વોર્ડ નંબર-14 અને વોર્ડ નંબર-3માં ભાજપ બિનહરીફ જીત્યું છે. વોર્ડ નંબર-12ના કોંગ્રેસના ઉમેદવાર દિલીપ ગલે ભાજપના સમર્થનમાં ફોર્મ પરત ખેંચી લીધું. ચૂંટણી પહેલા જ ભાજપની આઠ બેઠક પર વિજય થયો છે, તો બીજી બાજું કોંગ્રેસમાં મોટું ભંગાણ થતા દોડધામ મચી ગઈ છે.
ફોર્મ ચકાસણીના મુદ્દે અનેક વોર્ડમાં વિવાદ સર્જાયો
જુનાગઢ મનપાની ચૂંટણીનો માહોલ ગરમાયો હોય તેમ લાગી રહ્યુ છે. ફોર્મ ચકાસણીના મુદ્દે અનેક વોર્ડમાં વિવાદ સર્જાયો છે. જુનાગઢના વોર્ડ નં.9 ના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરવા માંગણી કરવામા આવી. જેમાં કહેવામાં આવ્યું કે ઉમેદવારે એસસી-એસટીમાં હોવા છતાં ઓબીસીમાં ફોર્મ ભર્યું હોવાનો દાવો કરાયો છે. થોડા સમય પહેલા એટ્રોસીટી કેસમાં એસસી-એસટીનો દાખલો રજૂ કર્યો હતો. એક જ વ્યક્તિ પાસે બે અલગ અલગ દાખલા હોવાની રજૂઆત કોંગ્રેસના ઉમેદવારે કરી છે. ચૂંટણી પંચ દ્વારા રજૂઆતને ગ્રાહ્ય રાખવામાં ન આવી હોવાનો વકીલનો દાવો કરાયો છે.