
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ગઇકાલના રોજ સુરત અને સેલવાસ બાદ આજે તેઓ નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા છે. જ્યાં તેમણે મહિલાઓને સંબોધતા અગાઉ રોડ શો યોજ્યો હતો. આજે મહિલા દિવસે વડાપ્રધાન મોદી 41 હજાર લખપતિ દીદી સહિત દોઢ લાખ મહિલાઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ કે જેઓ વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેઓને સન્માનિત કરવામાં આવી છે.
સુરક્ષા 3000 મહિલા પોલીસ કર્મચારીઓએ સંભાળી
નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં 'લખપતિ દીદી' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ૧.૫૦ લાખથી વધુ મહિલાઓ સહભાગી થશે. ત્યારે આ કાર્યક્રમમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી માત્રને માત્ર મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓ સંભાળશે. આ નિર્ણય માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં પોલીસિંગ અને લૉ એન્ડ ઓર્ડર ક્ષેત્રે માઇલ સ્ટોન સ્ટેપ સાબિત થશે.
કાર્યક્રમની વ્યવસ્થા મહિલાઓના હાથમાં
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાત પોલીસ દ્વારા એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે, વડાપ્રધાનના કાર્યક્રમમાં લો અને ઓર્ડરથી લઈને સમગ્ર કાર્યક્રમની જવાબદારી મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. હેલિપેડથી લઈને રૂટ, અને રૂટથી લઈને સભા સ્થળની સપૂર્ણ વ્યવસ્થાઓની ઉપર ગુજરાતના મહિલા પોલીસની ચાંપતી નજર રહેશે. સમગ્ર કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુર્ણા તોરવણે રહેશે. સમગ્ર બંદોબસ્ત વ્યવસ્થા ૨૧૪૫ મહિલા પોલીસ કોન્સ્ટેબલ, ૧૮૭ મહિલા પી.એસ.આઇ., ૬૧ મહિલા પી.આઇ., ૧૯ મહિલા ડી.વાય.એસ.પી., ૦૫ મહિલા એસ.પી., ૦૧ મહિલા ડી.આઇ.જી. અને ૦૧ મહિલા અધિક પોલીસ મહાનિદેશક દ્વારા કરવામાં આવશે અને કાર્યક્રમની વ્યવસ્થા સંભળાશે.