
Rajkot news: રાજકોટ શહેરમાં ખાનગી હોસ્પિટલના મહિલા તબીબે જાતે એનેસ્થેટિક ડ્રગ્સનો ઓવરડોઝ લઈ આપઘાત કરી લેતા તબીબ જગતમાં ચકચાર મચી જવા પામી છે. રાજકોટ બસ પોર્ટ પાછળ આવેલા બાલાજી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ડૉ. એન્જલ મોલિયાએ આપઘાત શા માટે કર્યો તે અંગેનું કારણ અકબંધ છે. મૃતક મહિલા તબીબના પતિ ડૉ.ધવલ મોલિયાનું રોણકીમાં ખાનગી ક્લિનિક આવેલું છે. તેઓ પણ ઘણા વર્ષોથી તબીબ પ્રેક્ટિસ કરી રહ્યા છે.
બનાવ અંગે મળતી વિગતો અનુસાર, રાજકોટ શહેરમાં આવેલા બસ પોર્ટ પાછળ બાલજી હોસ્પિટલમાં તબીબ પ્રેક્ટિસ કરતા 27 વર્ષીય ડૉ. એન્જલ મોલિયા ગત તા. 21/5ના રોજ હોસ્પિટલમાં ડયૂટી પર હતા ત્યારે જ અચાનક જ એેનેસ્થેટિક ડ્રગ્સનો ઈન્જેક્શનમાં ઓવરડોઝ લઈ નસમાં લગાવીને આપઘાત કરી લીધો હતો. જે અંગેની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે સઘન તપાસ કરી મહિલા તબીબના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. આ ઉપરાંત પોલીસ તંત્રએ જરૂરી પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલા તબીબે કયાં કારણોસર પગલું ભર્યુ તેનું ચોકકસ કારણ જાણવા મળ્યું નથી.
મૃતક મહિલા તબીબના ડાયરેકટરે આપઘાત અંગે દુ:ખ વ્યક્ત કર્યું
મહિલા તબીબ એન્જલ મોલિયાના આપઘાત કેસને લઈ ખાનગી હોસ્પિટલના ડાયરેકટરે જણાવ્યું કે, હોસ્પિટલ શરૂ થઈ અઢી વર્ષથી અહીં ફરજ બજાવતા હતા, પોલીસ તપાસના અમારો પૂરો સહયોગ છે. અમારી હોસ્પિટલ માટે દુઃખની વાત છે. હોસ્પિટલના સ્ટાફ સાથે પણ હળીમળીને રહેતા હતા. રાજીખુશી થી જ અમારી સાથે કામ કરતા હતા.
રાજકોટ પોલીસના એસીપીનું મહત્ત્વનું નિવેદન
મહિલા ડૉકટર એન્જલ મોલિયાના આપઘાત અંગે રાજકોટ પોલીસના એસીપી બી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, ગત તારીખ 21ના રોજ મહિલા તબીબે બાલાજી હોસ્પિટલમાં એનેસ્થેટિક ડ્રગ્સનો ઓવર ડોઝ લીધો હતો. મહિલા તબીબનું મોત થતા પોલીસ દ્વારા ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું છે. મહિલા તબીબે કયા કારણોસર આપઘાત કર્યા તે હજુ સુધી બહાર આવ્યું નથી. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.