
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા ઘૂસણખોરોને તેમના વતન પરત કરવાની કામગીરી ચાલી રહી છે. અમદાવાદ સુરત પછી રાજકોટમાંથી અનેક ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત કરવામાં આવી છે. રાજકોટમાંથી વધુ 6 બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે.
રાજકોટમાંથી 21 બાંગ્લાદેશી પકડાયા
રાજકોટ શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટમાંથી વધુ 6 બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે. શહેર પોલીસના સર્ચ ઓપરેશનમાં કૂલ 21 વ્યક્તિ પકડાયા છે. ઘૂસણખોરી કરી રહેલા બાંગ્લાદેશી-પાકિસ્તાનીઓને પકડવા માટે પોલીસે 35 ટીમો બનાવી હતી.
શહેરના રામનાથપરા, ભગવતીપરા, જંગલેશ્વર, અટિકા, રૈયા રોડ સહિતના વિસ્તારોમાંથી એક હજારથી વધુ લોકોની ચકાસણી કરવામાં આવી છે. SOG, ક્રાઇમબ્રાન્ચ, PCB સહિતની 35 ટીમ બનાવી શંકાસ્પદ શખ્સોની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાંથી અત્યાર સુધી 21 બાંગ્લાદેશી ઝડપાયા છે.
તમામ ઘૂસણખોરોની પૂછપરછ કરી તમામને ડિપોર્ટ કરી પરત તેમના વતન મોકલી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.