
રાજકોટના રીબડામાં દુષ્કર્મના આક્ષેપિત આરોપી પાટીદાર યુવક અમિત ખૂંટ આપઘાત મામલામાં આખરે પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે. આ સાથે જ જિલ્લા પોલીસ વડા દ્વારા આરોપીઓને ઝડપી લેવાની ખાતરી પણ આપવામાં આવી છે. આ કેસ મામલે SITની રચના કરવામાં આવશે જે આખાય મામલાની તપાસ કરશે. પોલીસ દ્વારા પરિવારજનોની માંગ સંતોષાતા પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે.
ગોંડલના રીબડામાં આત્મહત્યા કરનાર અમિત ખૂંટની કડક બંદોબસ્ત સાથે અંતિમ યાત્રા નીકળી હતી. જિલ્લા પોલીસ વડાએ આરોપીને ઝડપી પાડવાની ખાતરી આપી SITની રચના કરીને તટસ્થ તપાસની પરિવાની માંગ સંતોષવામાં આવ્યા હતા. પોલીસ વડાની આ ખાતરીને પગલે પરિવારજનો દ્વારા અમિત ખૂંટનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. અમિતની અંતિમ યાત્રામાં ગણેશ ગોંડલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોળીયા, માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા સહિતના અગેવાનો સહિત મોટી સંખ્યામાં મિત્રો અને ગ્રામજનો જોડાયા હતા.
અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદિપસિંહ જાડેજા સામે ફરિયાદ દાખલ
રીબડા ગામે દુષ્કર્મ કેસના આક્ષેપિત આરોપી અમિત ખૂંટ આપઘાત કેસમાં સુસાઇડ નોટ સામે આવ્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અનિરુદ્ધસિંહ જાડેજા - રીબડા અને રાજદિપસિંહ જાડેજા - રીબડા તેમજ 2 યુવતીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ગોંડલ પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
રિબડાના ત્રાસમાંથી મુક્ત કરાવો - ગોવિંદ સગપરીયા
પાટીદાર અગ્રણી ગોવિંદ સગપરીયાએ જણાવ્યું હતું કે, અલ્પેશ કથીરીયા, જીગીશા પટેલ અને મેહુલ બોધરા સહિતની ટીમ અમારી મદદ માટે આવે. મેં અગાઉ જ કીધું હતું કે રિબડાના ત્રાસમાંથી મુક્ત કરાવો. સમાજના આગેવાનો બની ફરો છો તો અહીં આવો અને રિબડાના ત્રાસમાંથી મુક્ત કરાવો..’
હું અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને એક યુવતીના દબાણથી કરું છું આત્મહત્યા
સ્યુસાઈડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ તેમજ ફરિયાદ કરનાર સગીરા બદનામ કરવાથી તેમના ત્રાસથી આત્મહત્યા કરતું હોવાનો ઉલ્લેખ કર્યો છે. સ્યુસાઈડ નોટમાં ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે હું અનુભા, રાજદીપ અને એક યુવતીના ત્રાસથી અને દબાણથી આત્મહત્યા કરુ છું.
યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરીયા, અશોક પીપળીયા, જ્યોતિરાદિત્યસિંહ જાડેજા સહિતના અનેક લોકો સાથે ઉમટી પડ્યા હતા.
જ્યુસમાં કેફી પીણું પીવડાવીને યુવકે દુષ્કર્મ આચર્યાનો આરોપ
રાજકોટમાં સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી બેભાન કરીને તેના પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી. મૂળ સાવરકુંડલાની મોડલિંગ સાથે જોડાયેલી સગીરાએ રીબડાના અમિત ખૂંટ સામે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે યુવકે દુષ્કર્મના આરોપથી આઘાતમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જાણો શું છે મામલો
સાવરકુંડલાની 17 વર્ષની સગીરા આરોપ લગાવ્યો હતો કે, છેલ્લા બે મહિનાથી તે રાજકોટની એક હોટેલમાં રહેતી હતી અને મોડલિંગ કરતી હતી. આ સમય દરમિયાન તેણે રીબડા ગામના અમીત દામજી ખુંટ નામના પટેલ યુવાન સાથે પરીચય થયો હતો. અને બન્ને અવાર-નવાર મળતા હતા. ત્યારે યુવાને સગીરાને જ્યુસમાં બેભાન કરવાની દવા પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું.
સાવરકુંડલાની યુવતિ રાજકોટમાં મોડેલિંગ કરતી
મળતા અહેવાલ પ્રમાણે સાવરકુંડલાની યુવતિ રાજકોટમાં મોડેલિંગ કરતી હતી. યુવાન ઈન્સ્ટાગ્રામ પર તેની સાથે સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ સતત મુલાકાત પણ કરતા હતા. તો બીજી તરફ તાજેતરમાં સગીરાને શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા જ્યુસ સેન્ટરમાં તેઓ મળ્યા અને જ્યુસમાં દવા ભેળવીને યુવતીને પીવડાવવાનો અને ખાનગી જગ્યાએ લઇ જઈને દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.