ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચેનું શાબ્દિક યુદ્ધ હવે રાજકીય અને સામાજિક ઘમાસાણ બની ગયું છે. સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલ ગોંડલમાં પહોંચ્યા છે. જ્યાં ગણેશ જાડેજાના સમર્થકો બંનેનો પૂરજોશથી વિરોધ કરી રહ્યા છે.
જીગીશા પટેલે વિરોધ કરી રહેલા લોકોને હાર પહેરાવ્યા
વિરોધીઓએ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો પણ કર્યો હતો. આ દરમિયાન હવે જીગીશા પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. જીગીશા પટેલે વિરોધ કરી રહેલા લોકોને હાર પહેરાવ્યા હતાં.
અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો
સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં અનેક લોકો અલ્પેશના સમર્થનમાં આવ્યા હતાં, ત્યારે ઘણાં લોકો તેની વિરોધમાં દેખાવ કરતા જોવા મળ્યા હતાં. જોકે, આ દરમિયાન તેમણે આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યા બાદ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ હુમલામાં તેની ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા
આ હુમલામાં તેમની ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા છે. હુમલા બાદ અલ્પેશ કથિરિયાએ કહ્યું કે, 'જ્યાં સુધી અમે ગોંડલમાં રહેશું ત્યાં સુધી વિરોધ થશે. આ જ તો મિર્ઝાપુર છે. ગોંડલમાં કોઈ વ્યક્તિ આવવા ન જોઈએ. આવે તો હુમલા કરવાના. તેના માણસો, ગાડી અને પરિવારને નુકસાન કરવાનું. ગોંડલમાં કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિને અમુક વ્યક્તિઓના ઈશારે નચાવવામાં આવી રહી છે.'