
સુરતના વરિયાવમાં ઢાંકણા વિહોણી ગટરમાં પડી જતાં બે વર્ષના માસૂમ કેદારનું મોત થયું છે. માસૂમના મોત બાદ પણ પાલિકાના અધિકારીઓની બંધ આંખો ખુલી ન હોય તે રીતે રિંગરોડ પર ખુલ્લી ગટર જોવા મળી હતી. ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે, સંવેદના વિહિન તંત્રના અધિકારીઓ ક્યારે કામ કરશે. જો કે, કેદાર સાથે સર્જાયેલી દુર્ઘટનાને લઈને પાલિકા દ્વારા ચાર અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
ઢાંકણું ખુલ્લું
સુરતના વરીયાઓમાં ગટરમાં પડી જવાથી બાળકના મોત બાદ પણ મહાનગરપાલિકાએ કોઈ બોધપાઠ લીધો નથી. શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો અને રસ્તાઓ પર ખોદી રાખેલા ખાડાઓના કારણે અકસ્માતની ઘટનાઓ થઈ રહી છે. સુરતના અતિ વ્યસ્ત રિંગ રોડ પર આવેલા ગટરનું ઢાંકણું પણ ખુલ્લી હાલતમાં જોવા મળ્યું હતું. એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગના મેઇન રોડના વચ્ચે 15 ફૂટથી પણ વધુ ઊંડાણવાળી ગટરનું ઢાંકણું ખુલ્લું છે. મહાનગરપાલિકા હજી પણ આવા કામો ઉપર ધ્યાન નહીં આપે તો શહેરમાં હજી કેદાર જેવી ઘટના બની શકે છે.
પોલીસ-પાલિકા દ્વારા કાર્યવાહી
વરિયાવ ખાતે બે વર્ષના બાળક મોત મામલે પાલિકા કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાના ચાર અધિકારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. પાલિકા ઝોનના કાર્યપાલક ઈજનેર તેજસ પટેલને શો કોઝ નોટિસ ફટકારાઈ છે. ઘટના સ્થળે કાર્યપાલક ઈજનેર તેજસ પટેલ તાપણું કરતા નજરે પડ્યા હતા. જેથી પાલિકા કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બેદરકારી સ્પષ્ટ રીતે બહાર આવી હોવાથી પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. બીજી તરફ પોલીસ દ્વારા ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.
આ ચારને મળી નોટિસ
તેજસ ટી.પટેલ - કાર્યપાલક ઈજનેર
નિતીન એમ. ચૌધરી - ડેપ્યુટી ઈજનેર
રાકેશ ટી. પટેલ - જુનીયર ઈજનેર
ચેતન પી. રાણા - સુપરવાઈઝર