
કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આંતકવાદી હુમલામાં મુળ સુરતના પણ મુંબઇમાં રહેતા કળથીયા પરિવારના ચાર સભ્યો પૈકી મોભી એવા 44 વર્ષીય શૈલેશ કળથીયાને ગોળી વાગતા મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. જયારે તેમની પત્ની અને પુત્રી- પુત્રનો બચાવ થયો હતો. સુરતમાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઇ ગઇ છે. ચાર ચાબહેનોના એકના એક ભાઈએ જીવ ગુમાવતાં પરિવાર પર દુઃખનો ડુંગર આવી પડ્યો હતો.
કુદરતી સૌંદર્ય માણતા ત્યારે ગોળીબાર થયો
પૃથ્વીનું સ્વર્ગ ગણાતા કાશ્મીરના પહેલગામમાં થયેલા આંતકવાદી હુમલાની ઘટના અંગે મળેલી માહિતી મુજબ મુળ સુરતના વરાછાના ચીકુવાડી વિસ્તારની હરીકુંજ સોસાયટીના વતની અને મુંબઇમાં જ રહેતા અને મુંબઇની એસબીઆઇ બેન્કમાં નોકરી કરતા 44 વર્ષીય શૈલેશભાઇ હિંમત કળથીયા તેમની પત્ની શિતલ કળથીયા, પુત્રી નીતિ, અને પુત્ર નક્ષ સાથે મુંબઇથી કાશ્મીર ફરવા માટે ગયા હતા. દરમ્યાન શ્રીનગરથી પહેલગામ ફરવા ગયા હતા અને વિવિધ જગ્યાએ ફરીને મંગળવારે તેઓ ત્યાંના મીની સ્વીત્ઝરલેન્ડ ગણાતા સરનવેલીમાં પહેલગામથી ઘોડા પર બેસીને કુદરતના સૌદર્યને નિહાળતા હતા.
ચાર બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો
બજરંગનગર સોસાયટીમાં અગાઉ રહેતા જૂના પાડોશી ગોયાણી ખોડીદાસે કહ્યું કે, શૈલેષ હિંમતભાઈ કળથિયા મૂળ અમરેલીના દામનગરના ધૂફણિયા ગામના વતની છે. જોકે, સુરતના નાના વરાછાના ચીકુવાડી ખાતે આવેલી હરિકુંજ વિભાગ 2માં 29 નંબરનું મકાન તેમનું છે. પિતા પણ ગામમાં રહેતા હોવાથી હાલ ઘર બંધ હાલતમાં છે. જ્યારે પહેલો માળ ભાડે આપેલો છે. શૈલેષભાઈ ચાર બહેનોમાં એકના એક ભાઈ હતા. માતાના અવસાન બાદ પિતા બે વર્ષથી વતનમાં રહે છે. શૈલેષભાઈ SBIમાં કામ કરતા હતા. જોકે, છેલ્લા 1 વર્ષથી મુંબઇની SBIમાં કામ કરી ત્યાં જ પરિવાર સાથે રહેતા હતા. આ અગાઉ 9 વર્ષ તેમણે વડોદરાની SBIમાં કામ કર્યું હતું અને ત્યાં જ રહેતા હતા.
આજે હતો જન્મદિવસ
શૈલેષભાઈ કળથિયાનો જન્મ 23મી એપ્રિલ 1981ના રોજ થયો હતો. જ્યારે કાશ્મીરમાં ગતરોજ ઘટના બની અને આજે 23મી એપ્રિલ છે. એટલે કે જન્મદિનના એક દિવસ પહેલાં તેમનું મોત થતાં પરિવારમાં પણ શોકની કાલિમા છવાઈ જવા પામી છે. 23મી એપ્રિલના રોજ જન્મ હોવાથી સંભવત જન્મદિનની ઉજવણી કરવા માટે જ શૈલેષભાઈ કાશ્મીર ગયા હોય એવી શક્યતા છે.