સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. આ મંદીની સૌથી વધુ માઠી અસર રત્નકલાકારોને થઈ રહી છે. જેમાં બેકારીનો સામનો કરી રહેલા રત્નકલાકારો આપઘાતના પગલાં ભરી રહ્યાં છે. ત્યારે વધુ એક બેકાર રત્નકલાકારે આપઘાત કરી લીધો છે.
22 વર્ષના યુવકનું મોત
વરાછા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય કેવલ બાબુભાઈ મકવાણાએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક સારવાર માટે તેમને પહેલા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ ખાનગી હોસ્પિટલ અને ત્યાર પછી સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. પરંતુ, સતત બગડતી સ્થિતિ વચ્ચે કેવલએ અંતે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
માનસિક તણાવમાં પગલું ભર્યાની આશંકા
કેવલ રત્નકલાકાર તરીકે કાર્યરત હતો. પોતાના પરિવારના ગુજરાન માટે મહેનત કરતો હતો. તેની રત્નકલાકાર તરીકેની નોકરી છૂટી ગઈ હતી. જેથી આર્થિક સંકડામણ ઉભી થઈ હતી. જેના માનસિક તણાવમાં કેવલ રહેતો હતો. આ મામલે આત્મહત્યાનું કારણ આર્થિક સંકટ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે વરાછા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને સત્તાવાર નિવેદન બાદ વધુ વિગતો બહાર આવશે.આ ઘટનાએ ફરી એકવાર રત્ન ઉદ્યોગમાં કાર્યરત શ્રમિકોની અસુરક્ષા અને માનસિક તણાવના મુદ્દા પર ચિંતા ઉભી કરી છે.