
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા Operation Sindoor દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક શખ્સો દ્વારા રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ લોકો સામે ગુજરાત પોલીસ દ્વારા 14 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
હર્ષ સંઘવીએ આપ્યા હતા આદેશ
Operation Sindoor દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં દેશ વિરોધી પોસ્ટ કરનારા લોકો પર નજર રાખવાનો ગુજરાત પોલીસને આદેશ આપ્યો હતો. આ સાથએ જ દેશવિરોધી અને વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ કરનારા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પણ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી, અફવાઓ અને સૈન્યની સુરક્ષાને જોખમમાં મુકનારી પોસ્ટનું નીરિક્ષણ કરી તાત્કાલિક ગુનો દાખલ કરવા અને આવા તત્ત્વો સામે ત્વરિત કડક કાર્યવાહી કરવા રાજ્યની પોલીસને આદેશ આપ્યા હતા.
ગુજરાતમાં 14 લોકો સામે નોંધાઇ ફરિયાદ
ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા આવી પ્રવૃતિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી.આ દરમિયાન 14 વ્યક્તિઓએ દેશવિરોધી, લોકોમાં વૈમનસ્ય ફેલાય અને સૈન્યનું મનોબળ તોડે તેવા લખાણો પોસ્ટ કર્યા હોવાનું ધ્યાનમાં આવતા તેમની સામે FIR દાખલ કરવામાં આવી હતી.
રાજ્યમાં આ લોકો સામે પોલીસની કડક કાર્યવાહી
રાજ્યની વાત કરીએ તો રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનારા લોકોમાં ખેડા અને ભૂજમાં સૌથી વધુ 2-2 FIR, જામનગર,જૂનાગઢ,વાપી,બનાસકાંઠા, આણંદ,અમદાવાદ, સુરત શહેર, વડોદરા, પાટણ અને ગોધરામાં એક-એક મળી કુલ 14 ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે.