
દિલ્હી રાજ્યની રચના બાદ ૧૯૯૩માં સત્તાનું સુખ ભોગવનાર ભાજપ માટે આખરે શનિવારે ૨૬ વર્ષના વનવાસનો અંત આવ્યો છે. ભાજપે ૭૦ વિધાનસભા બેઠકોમાંથી ૪૮ બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ સાથે છેલ્લા ૧૧ વર્ષથી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં ઐતિહાસિક વિજય મેળવનાર આમ આદમી પાર્ટીનો કારમો પરાજય થયો છે. આપે માત્ર ૨૨ બેઠકો પર જીતથી સંતોષ માનવો પડયો. દિલ્હીમાં ચૂંટણી પ્રચાર વચ્ચે સામાન્ય બજેટમાં કેન્દ્ર સરકારે મધ્યમ વર્ગ માટે રૂ. ૧૨ લાખની કમાણીને કરમુક્ત કરવાની જાહેરાત કરીને રાજધાનીમાં ભાજપની જીતનો પાયો નાંખી દીધો હતો.
આપની ટોચની નેતાગીરી ધરાશાઈ
બીજીબાજુ ભાજપે અરવિંદ કેજરીવાલ પર 'શીશમહેલ' તેમજ આપની ટોચની નેતાગીરી પર દારૂના ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. આ આક્ષેપો સામે આપની ટોચની નેતાગીરી ધરાશાઈ થઈ ગઈ.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભ્રષ્ટાચારનો વિરોધ કરીને સત્તા પર આવેલી આમ આદમી પાર્ટી સતત ચોથી વખત સત્તા પર પાછા ફરવાનું સપનું જોઈ રહી હતી. પરંતુ આપે ૧૦ વર્ષની એન્ટી-ઈન્કમ્બન્સીનો સામનો કરવો પડયો, જેને પગલે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સોમનાથ ભારતી, સૌરભ ભારદ્વાજ સહિત ટોચની નેતાગીરીએ પરાજયનો સામનો કરવો પડયો હતો. આપમાં એકમાત્ર મુખ્યમંત્રી આતિશીએ કાલકાજી બેઠક પરથી વિજય મેળવીને આપની લાજ રાખી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે મધ્યમ વર્ગને ઈન્કમ ટેક્સમાં છૂટ આપવાની સાથે પૂરા જોરશોરથી કેજરીવાલના શીશમહેલનો મુદ્દો ઉઠાવ્યો. આ સાથે ઝુંપડપટ્ટીઓના પ્રવાસના કાર્યક્રમો અને સિવિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કર્યું. વધુમાં પ્રદૂષણ અને ગ્રેપ નિયમોના કારણે પણ જનતાનો આપથી મોહભંગ થઈ ગયો હતો. ભાજપે સાંપ્રદાયિક ધુ્રવીકરણને બાજુ પર મુકીને વિકાસના મુદ્દા પર ધ્યાન આપ્યું હતું.
ભાજપ માત્ર દિલ્હીમાં બેઠો જ નથી થયો પરંતુ તેના વોટશૅરમાં જંગી વધારો
ભાજપના ચૂંટણી વચનોથી જનતા એટલી પ્રભાવિત થઈ કે કેજરીવાલની મફત યોજનાઓ કોઈ કામ ના આવી અને તેમનો વોટશેર ૧૦ ટકા જેટલો ઘટી ગયો. બીજી બાજુ ભાજપ માત્ર દિલ્હીમાં બેઠો જ નથી થયો પરંતુ તેના વોટશૅરમાં જંગી વધારો થયો છે. આપનો વોટ શૅર વર્ષ ૨૦૨૦માં ૫૩.૫૭ ટકાથી ઘટીને ૪૩.૫૭ ટકા થઈ ગયો. ૨૦૧૫માં આપનો વોટશૅર ૫૪.૫૦ ટકા હતો. વોટ શૅરમાં ૧૦ ટકાના ઘટાડા સામે આપની બેઠકો ૨૦૨૦માં ૬૨થી ઘટીને આ વખતે સીધી જ ૨૨ થઈ ગઈ છે.
બીજીબાજુ અઢી દાયકા પછી દિલ્હીમાં સત્તા પર આવનાર ભાજપનો વોટ શૅર ૪૫.૫૬ ટકા થયો હતો, જે ૨૦૨૦ની ચૂંટણીમાં ૩૮.૫૧ ટકા હતો. આમ, ભાજપના વોટ શૅરમાં ૭.૦૫ ટકાનો વધારો થયો હતો. ૨૦૧૫માં ભાજપનો વોટ શૅર ૩૨.૩ ટકા હતો.
દિલ્હીમાં વર્ષ ૧૯૯૮માં ભાજપને હરાવીને સત્તા પર આવ્યા પછી ૧૫ વર્ષ સુધી શાસન કરનાર કોંગ્રેસ આપના ઉદય પછી હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. આ ચૂંટણીમાં પણ કોંગ્રેસે આ પરંપરા જાળવી રાખી હતી અને એક પણ બેઠક જીતી શકી નહોતી. દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસ માટે આ ચૂંટણીમાં એકમાત્ર આશ્વાસન એ હતું કે તેનો વોટ શૅર ૨.૧ ટકા વધીને ૬.૩૪ ટકા થયો હતો. ૨૦૨૦માં તેનો વોટ શૅર ૪.૩ ટકા હતો.
દિલ્હીમાં કોંગ્રેસનો કોઈ ચહેરો નથી
દિલ્હીનું પ્રતિનિધિત્વ કરવા માટે મજબૂત નેતા ન હોવો કોંગ્રેસ માટે ખૂબ જ મોંઘો સાબિત થયો છે. શીલા દીક્ષિત પછી, કોંગ્રેસ દિલ્હીમાં એવો ચહેરો શોધવા માટે સંઘર્ષ કરી રહી છે જે અરવિંદ કેજરીવાલને પડકાર આપી શકે. કોંગ્રેસે 2025ની દિલ્હી ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત પણ કરી ન હતી.
દિલ્હીમાં કોંગ્રેસના તો સૂપડા સાફ
એમાં કોઈ શંકા નથી કે ૧૯૯૮ થી ૨૦૧૩ સુધી, જ્યારે શીલા દીક્ષિત મુખ્યમંત્રી હતા, ત્યારે દિલ્હીમાં ઘણું કામ થયું હતું. તેમણે દિલ્હીમાં મેટ્રો નેટવર્કનો ઝડપથી વિસ્તાર કર્યો અને મોટા પાયે રસ્તાઓ અને ફ્લાયઓવર બનાવ્યા. નવી હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાનો પાયો નાખ્યો. દિલ્હી મહિલા આયોગની સ્થાપના કરી અને મહિલાઓ માટે હેલ્પલાઇન નંબર ૧૮૧ પણ શરૂ કર્યો. તેમણે દિલ્હીના જાહેર પરિવહનમાં ગ્રીન રિફોર્મ્સ સફળતાપૂર્વક શરૂ કર્યા, સમગ્ર ડીટીસી કાફલાને પેટ્રોલ અને ડીઝલથી સીએનજીમાં ખસેડ્યો. પરંતુ, કોંગ્રેસ દિલ્હીમાં તેની સરકારના આ કાર્યો દર્શાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પાર્ટીને એવા નેતૃત્વની જરૂર છે, જે પાર્ટીના કાર્યને ગણી શકે અને જનતામાં તેની અપીલ વધારી શકે.