
India-US Trade Deal: ભારતીય વાણિજ્ય મંત્રાલયની એક ટીમ પ્રસ્તાવિત વેપાર કરાર માટે અમેરિકાની સાથે બીજા તબક્કાના સંવાદ માટે ટૂંક સમયમાં વોશિંગ્ટન જશે. આ યાત્રા દરમ્યાન દ્વીપક્ષીય વેપાર કરારના વચગાળા અને પ્રથમ તબક્કાનો સંવાદ થશે. યાત્રાની તારીખો હજી નક્કી નથી થઈ. છતાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય દળ આવતા અઠવાડિયે વોશિંગ્ટન જાય તેવી શક્યતા છે.
ભારતીય ટીમ તાજેતરમાં જ પ્રથમ રાઉન્ડની વાટાઘાટો પછી પરત ફરી છે. મુખ્ય વાટાઘાટકાર રાજેશ અગ્રવાલના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ આ મહિનાની શરૂઆતમાં કરાર પર વાટાઘાટો પૂર્ણ કર્યા પછી વોશિંગ્ટનથી પરત ફરી હતી. આ મુલાકાત મહત્વપૂર્ણ છે કારણ કે અમેરિકાએ વધારાના ટેરિફ (ભારતના કિસ્સામાં તે 26 ટકા છે) 1 ઓગસ્ટ સુધી મુલતવી રાખ્યા છે. વાણિજ્ય વિભાગના વિશેષ સચિવ રાજેશ અગ્રવાલે ગુરુવારે જણાવ્યું હતું કે ભારત અમેરિકા સાથે વેપાર કરાર પર વાટાઘાટો અને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ કરારનો પ્રથમ તબક્કો આ વર્ષના પાનખર (સપ્ટેમ્બર-ઓક્ટોબર) સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પહેલાં, બંને દેશો એક વચગાળાના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
26 દેશો સાથે 14 FTA અમલમાં મૂકાયા
અગ્રવાલે કહ્યું કે ભારતે અત્યાર સુધીમાં 26 દેશો સાથે 14થી વધુ મુક્ત વેપાર કરાર (FTA) લાગુ કર્યા છે. તેમણે અહીં 'એક્સપોર્ટ લોજિસ્ટિક્સ' પર આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું, "હવે અમે મુખ્ય બજારો સાથે જોડાઈ રહ્યા છીએ. અમે તાજેતરમાં બ્રિટન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમે યુરોપિયન યુનિયન સાથે વાટાઘાટોના અદ્યતન તબક્કામાં છીએ. અમે યુએસ સાથે કરારને અંતિમ સ્વરૂપ આપવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ."
આ દેશો સાથે પણ વાતચીત ચાલી રહી છે
તેમણે કહ્યું કે ભારત ચિલી અને પેરુ સહિત લેટિન અમેરિકન દેશો સાથે પણ વેપાર કરારો પર વાટાઘાટો કરી રહ્યું છે. અગ્રવાલે કહ્યું, "અમે ઓસ્ટ્રેલિયા અને સંયુક્ત આરબ અમીરાત સાથે વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે. અમે ન્યૂઝીલેન્ડ સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ. અમે મુખ્ય વેપાર ભાગીદારો અને મુખ્ય અર્થતંત્રો સાથે વ્યાપકપણે જોડાયેલા છીએ."