
Maha Kumbh News : મહાકુંભમાં સેક્ટર-12માં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની શિબિરમાં પાંચમી ફેબ્રુઆરીએ આગ લાગી હતી. હવે આ ઘટના મુદ્દે નવો વિવાદ ઉભો થયો છે. તેમના અનુયાયીઓ ઘટના પાછળ ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આગની ઘટના બાદ શંકરાચાર્યએ પ્રથમવાર પ્રતિક્રિયા આપી છે.
શંકરાચાર્યએ આગની ઘટના અંગે આપી પ્રતિક્રિયા
શંકરાચાર્યએ કહ્યું, “અમે આગ લાગવાની ઘટના અંગે શું કહીએ. શિબિરમાં આગ લાગી હતી. એક સ્થળે આગ પર કાબુ મેળવવાનું કામ ચાલી હતું અને આ દરમિયાન બીજા સ્થળે આગ લાગી ગઈ. આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ભગવાનની મહેરબાનીથી કોઈ જાનહાનિ થઈ નથી.”
શંકરાચાર્યએ PM મોદીની મહાકુંભ મુલાકાત અંગે શું કહ્યું?
શંકરાચાર્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહાકુંભની મુલાકાત અંગે કહ્યું, “આ એક ધાર્મિક સ્થળ છે અને અહીં ધર્મ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. જો અહીં રાજકારણ કરવામાં આવશે, તો તેના સારા પરિણામ નહીં મળે. વડાપ્રધાન આવ્યા, સ્નાન કર્યું, સારું કર્યું. વધુ અમારી પાસે કોઈ માહિતી નથી.”
શંકરાચાર્યએ અગાઉ CMના રાજીનામની કરી હતી માંગ
આ પહેલા શંકરાચાર્યએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાજીનામાની માંગ કરી હતી. વાસ્તવમાં મહાકુંભમાં મૌની અમાસના થયેલી ધક્કામુક્કીમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 60થી વધુને ઈજા થઈ હોવાનો દાવો રાજ્ય સરકાર અને પોલીસે કર્યો હતો. જોકે આ ધક્કામુક્કીની જાનહાનીનો આંકડો વધુ હોવાના દાવા થયા. વ્યવસ્થાને લઇને સંતોમાં પણ નારાજગી જોવા મળી છે.