
સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. 10 માર્ચથી શરૂ થયેલુ આ સત્ર 4 એપ્રિલ સુધી ચાલશે. આ તબક્કામાં કુલ 16 બેઠકો મળવાની છે. આ સત્રમાં સરકાર વકફ સંશોધન સહિત આશરે 36 બિલ રજૂ કરશે. PM મોદીએ મહાકુંભના આયોજન પર લોકસભામાં સંબોધન કર્યું હતું.
મહાકુંભ પર લોકસભામાં બોલ્યા PM મોદી
પીએમ મોદીએ લોકસભામાં બોલતા કહ્યું કે હું પ્રયાગરાજમાં મહાકુંભ પર વ્યક્તવ્ય આપવા માટે હાજર થયો છું. આજે હું આ સદનના માધ્યમથી દેશવાસીઓને નમન કરૂં છું, જેને કારણે મહાકુંભનું સફળ આયોજન થયું. મહાકુંભની સફળતામાં અનેક લોકોનું યોગદાન છે. હું સરકારના તમામ કર્મયોગીઓનો અભિવાદન કરૂં છું. હું દેશભરના શ્રદ્ધાળુઓને, યુપીની જનતાનો ખાસ કરીને પ્રયાગરાજની જનતાનો આભાર માનું છું.જે પ્રકારે મહાકુંભનું આયોજન થયું એના માટે દેશના નાગરિકોને નત મસ્તક વંદન કરું છું. મહાકુંભ દરમિયાન સમગ્ર વિશ્વે ભારતની ભવ્યતા નિહાળી છે.
લોકસભાની કાર્યવાહી એક વાગ્યા સુધી સ્થગિત
પીએમ મોદીના ભાષણ બાદ સદનમાં વિપક્ષે હોબાળો મચાવતા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, ગૃહ નિયમો દ્વારા ચાલે છે અને વડાપ્રધાનના ભાષણ પછી કોઈ સવાલ જવાબ થતા નથી. જ્યારે વિપક્ષનો હોબાળો બંધ ન થયો તો લોકસભાની કાર્યવાહી એક વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.
મહાકુંભમાંથી અનેક અમૃત મળ્યા
પીએમ મોદીએ કહ્યું, 'મહાકુંભમાંથી અનેક અમૃત મળ્યા છે. એકતાનું અમૃત તેનો પવિત્ર પ્રસાદ છે. મહાકુંભ એક એવો કાર્યક્રમ હતો જેમાં દેશના દરેક ક્ષેત્રના લોકો ભેગા થયા હતા. લોકો પોતાનો અહંકાર બાજુ પર મૂકીને 'હું નહીં પણ આપણે' ની ભાવના સાથે પ્રયાગરાજમાં એકઠા થયા. વિવિધ રાજ્યોના લોકો આવ્યા અને ત્રિવેણીનો ભાગ બન્યા. જ્યારે વિવિધ પ્રદેશોના કરોડો લોકો રાષ્ટ્રવાદની ભાવનાને મજબૂત બનાવે છે, ત્યારે દેશની એકતા વધે છે. જ્યારે સંગમના કિનારે વિવિધ ભાષાઓ બોલતા લોકો હર હર ગંગેનો જાપ કરતા હતા ત્યારે 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ઝલક દેખાય છે. એકતાની ભાવના વધે છે.
એકતાનું આ પ્રદર્શન આપણી સૌથી મોટી તાકાત
મહાકુંભમાં આપણે જોયું કે, નાના અને મોટા વચ્ચે કોઈ ભેદ નહોતો. આ ભારતની એક મોટી તાકાત છે. આ દર્શાવે છે કે એકતાનું અદ્ભુત તત્વ આપણી અંદર વણાયેલું છે. આપણી એકતાની શક્તિ એટલી પ્રબળ છે કે તે આપણને વિભાજીત કરવાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે.એકતાની આ ભાવના ભારતીયોનું મોટું સૌભાગ્ય છે. આજે દુનિયામાં પ્રવર્તી રહેલા અવ્યવસ્થાના સમયમાં, એકતાનું આ પ્રદર્શન આપણી સૌથી મોટી તાકાત છે. વિવિધતામાં એકતા એ આપણી વિશેષતા છે. તેનું વિશાળ સ્વરૂપ પ્રયાગરાજ મહાકુંભમાં અનુભવાયું છે.
આપણી જવાબદારી છે કે આપણે વિવિધતામાં એકતાના આ લક્ષણને સમૃદ્ધ બનાવતા રહીએ. મહાકુંભમાંથી આપણને ઘણી પ્રેરણા મળી છે. આપણા દેશમાં ઘણી નાની-મોટી નદીઓ છે, જેમાંથી ઘણી નદીઓ સંકટનો સામનો કરી રહી છે. કુંભમાંથી પ્રેરણા લઈને આપણે નદી ઉત્સવની પરંપરાને નવો વિસ્તાર આપવો પડશે. આપણે આ વિશે ચોક્કસ વિચારવું જોઈએ. આનાથી વર્તમાન પેઢી પાણીનું મહત્વ સમજશે. નદીઓનું રક્ષણ કરવામાં આવશે. મને વિશ્વાસ છે કે મહાકુંભમાંથી ઉત્પન્ન થતું અમૃત આપણા સંકલ્પોની સિદ્ધિ માટે એક મજબૂત માધ્યમ બનશે.