
CJI Bhushan Ramkrishna Gavai : જસ્ટિસ ભૂષણ રામક્રિષ્ના ગવઈએ ભારતના 52માં ચીફ જસ્ટિસ (CJI) પદે 14 મે, 2025ના રોજ શપથ ગ્રહણ કર્યા હતા. જ્યારે આજે રવિવારે (18 મે) ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ કહ્યું કે, 'ન તો ન્યાયપાલિકા અને ન તો કારોબારી, પરંતુ ભારતનું બંધારણ સર્વોચ્ચ છે અને લોકશાહીના ત્રણેય સ્તંભોએ સાથે મળીને કામ કરવું જોઈએ.'
'દેશ ન માત્ર મજબૂત થયો છે, પરંતુ સામાજિક અને આર્થિક સ્તરે પણ વિકસિત થયો છે.'
મુંબઈમાં બાર કાઉન્સિલ મહારાષ્ટ્ર અને ગોવા તરફથી આયોજિત સ્વાગત સમારોહમાં મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે સંમેલનને સંબોધિત કર્યું હતું. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, 'દેશ ન માત્ર મજબૂત થયો છે, પરંતુ સામાજિક અને આર્થિક સ્તરે પણ વિકસિત થયો છે.'
તેમણે કહ્યું કે, 'ન તો ન્યાયતંત્ર, ન તો કારોબારી કે ન તો સંસદ સર્વોચ્ચ છે, પરંતુ ભારતનું બંધારણ સર્વોચ્ચ છે અને ત્રણેય અંગોએ બંધારણ અનુસાર કાર્ય કરવાનું છે.' તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશના માળખાગત રચના મજબૂત છે અને બંધારણના ત્રણેય સ્તંભો સમાન છે. બંધારણના તમામ અંગોએ એક-બીજા પ્રત્યે સમ્માન બતાવવો જોઈએ. આ કાર્યક્રમ દરમિયાન, ન્યાયાધીશ ગવઈ દ્વારા આપવામાં આવેલા 50 નોંધપાત્ર ચુકાદાઓ પર આધારિત પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.