ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે 'Pahalgam હુમલાનો બદલો લેવામાં આવશે. આ નરેન્દ્ર મોદીનું ભારત છે. પહેલગામ હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા સખ્તાઈભર્યા પગલાં લીધાં છે.
અમિત શાહે કહ્યું, 'આજે કોઈ એવું ન વિચારતા કે આપણા 27 લોકોને મારીને તેમણે આ યુદ્ધ જીતી લીધું છે.' હું તેમને કહેવા માંગુ છું કે દરેક વ્યક્તિને જડબાતોડ જવાબ મળશે. જવાબ લેવામાં પણ આવશે. 'જો કોઈ કાયર હુમલો કરીને એવું વિચારતો હોય કે આ તેમની જીત છે તો સમજી લેશો. એક એકને વીણી વીણીને મારીશું. આ નરેન્દ્ર મોદીનું ભારત છે. આજે દુનિયાના તમામ દેશો ભારતની સાથે ઉભા છે'
ગૃહમંત્રીએ કહ્યું, 'આજે ફરી એકવાર હું આ સંકલ્પને યાદ કરાવવા માંગુ છું કે આતંકવાદ સામેની આપણી લડાઈ ચાલુ રહેશે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, પછી ભલે તે ડાબેરી ઉગ્રવાદ હોય કે કાશ્મીર મુદ્દો, જો કોઈ કાયરતાપૂર્ણ કૃત્ય કરશે તો તે કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.
અમિત શાહે કહ્યું કે ભારતની એક એક ઈંચ જમીન પરથી આતંકવાદનો નાશ કરીશું. આતંકવાદ સામે વિશ્વના તમામ દેશો એક થયા છે અને ભારતની સાથે ઉભા છે. આતંકવાદનો અંત ન આવે ત્યાં સુધી તેમને સજા આપવામાં આવશે.
પાકિસ્તાન પર ભારતની કડક કાર્યવાહી
જણાવી દઈએ કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ સતત કડક નિર્ણયો લઈ રહ્યું છે. સરકારે બુધવારે પાકિસ્તાની વિમાનો માટે હવાઈ ક્ષેત્ર બંધ કરવાનો નિર્ણય લીધો. હુમલાના બીજા દિવસે અર્થાત્ 23 એપ્રિલે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા.