
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની NIA દ્વારા તપાસ ચાલુ છે. ત્યારે એવા રિપોર્ટ છે કે બૈસરન ઉપરાંત ખીણના અન્ય ઘણા સ્થાનોને આતંકવાદીઓએ ટાર્ગેટ બનાવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓએ 22 એપ્રિલની તારીખ પસંદ કરવા પાછળ એક ખાસ કારણ હતું. હાલમાં આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓએ હુમલો કરવા માટે મંગળવાર પસંદ કર્યો કારણ કે આ દિવસનું હિન્દુ ધર્મમાં મહત્વ છે. સેના કે સરકારે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. રિપોર્ટ અનુસાર, આતંકવાદીઓએ પહેલગામમાં ત્રણ જગ્યાઓને નિશાને રાખી હતી. જેમાં બૈસરન ઉપરાંત અરુ ખીણ અને બેતાબ ખીણનો સમાવેશ થાય છે, પરંતુ અન્ય બે સ્થળોએ કડક સુરક્ષાને લીધે આતંકીઓએ બૈસરન પસંદ કર્યું હતું.
રિપોર્ટ અનુસાર, તપાસમાં એવું બહાર આવ્યું છે કે, આતંકવાદીઓએ હુમલા પહેલા 15થી 20 દિવસ સુધી આ વિસ્તારોની રેકી કરી હતી. આ ઉપરાંત, આતંકવાદીઓ નિયમિતપણે બૈસરન ખીણમાં પ્રવાસીઓ પર નજર રાખતા હતા. 'આતંકવાદીઓએ ઘટનાસ્થળે ભીડ એકઠી થવાના સમયની પણ માહિતી એકત્રિત કરી હતી.' વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આતંકવાદીઓને 18 એપ્રિલના રોજ હુમલો કરવાની સૂચનાઓ પણ મળી હતી.
પાકિસ્તાને સતત સાતમી રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું
પાકિસ્તાની સૈનિકોએ સતત સાતમી રાત્રે નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને જમ્મુ અને કાશ્મીરના ત્રણ સરહદી જિલ્લાઓના અનેક સેક્ટરોમાં કોઈ પણ જાતની ઉશ્કેરણી વિના ગોળીબાર ચાલુ રાખ્યો હતો. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની આ કાર્યવાહીનો યોગ્ય જવાબ આપ્યો.
૨૨ એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર્સ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) એ મંગળવારે હોટલાઇન પર વાત કરી હતી, પરંતુ તેમ છતાં ગોળીબાર ચાલુ રહ્યો હતો. જોકે, પાકિસ્તાનની આ કાર્યવાહીનો ભારતે કડક જવાબ આપ્યો.