
પહેલગામ હુમલાનો બદલો લેતા ભારતે ઓપરેશન સિંદૂરનો અમલ કર્યો હતો. ભારતે પાકિસ્તાનમાં રહેલા આતંકીઓના સ્થળોને નિશાન બનાવી આગ વરસાવી હતી. આતંકવાદીઓના ઠેકાણાઓ પર ભારતના હવાઈ હુમલા પછી પાકિસ્તાન દ્વારા ભારતીય શહેરોને નિશાન બનાવવામાં આવ્યા. પરંતુ પાકિસ્તાનનો પનો ટૂંકો પડ્યો. ભારતની ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનને ધૂળ ચટાડી છે.
મળતી માહિતી મુજબ ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ HQ-9 ને તોડી પાડી છે. આ કામ ભારતની સૌથી મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ S-400 મિસાઈલ દ્વારા કરવામાં આવ્યું છે. આ એક એવી મિસાઈલ સિસ્ટમ છે જે હુમલો થતાં જ સક્રિય થઈ જાય છે અને દુશ્મનના વિમાન કે મિસાઈલનો તરત જ નાશ કરે છે. ભારતીય સેનાએ આ એર ડિફેન્સ સિસ્ટમનું નામ 'સુદર્શન ચક્ર' રાખ્યું છે. ચાલો જાણીએ કે, ભારતની આ ડિફેન્સ સિસ્ટમ સુદર્શન ચક્ર દુશ્મનનો નાશ કેવી રીતે કરે છે.
શું છે S-400 મિસાઇલ?
S-400 મિસાઇલને ભારતની સૌથી ખતરનાક અને શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ માનવામાં આવે છે. S-400 મિસાઇલ કોઈપણ હવાઈ હુમલા સામે રક્ષણ આપવા સક્ષમ છે. 2018માં S-400 મિસાઇલ સિસ્ટમ રશિયા પાસેથી 5 અબજ ડોલરમાં ખરીદવામાં આવી હતી. આ સોદામાં ભારતે રશિયા પાસેથી પાંચ યુનિટ મિસાઇલ ખરીદી હતી. અદ્યતન ફાઇટર જેટને પણ તોડી પાડવાની ક્ષમતા ધરાવતી આ સિસ્ટમમાંથી એક સાથે 72 મિસાઇલો છોડી શકે છે. તેની તાકાત એટલી છે કે તે પાકિસ્તાન અને ચીનના હુમલાના પ્રયાસોને ભારત પહોંચે તે પહેલા જ નાશ કરી દે છે.
આ છે S-400 મિસાઇલની તાકાત
S-400 ને વિશ્વની શ્રેષ્ઠ એર ડિફેન્સ સિસ્ટમ માનવામાં આવે છે. રશિયાના અલ્માઝ-એન્ટીએ આ મિસાઈલ સિસ્ટમ બનાવી છે.
S-400 લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ છે. તેમાં સ્ટીલ્થ ફાઇટર જેટ, બોમ્બર્સ, ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલો અને માનવરહિત હવાઈ યુનિટ (UAV) સહિત વિવિધ પ્રકારના હવાઈ લક્ષ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે. આમાં ચાર અલગ અલગ પ્રકારની મિસાઇલો છે, જે 400 કિલોમીટરના અંતર સુધીના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે.
S-400 માં બે અલગ રડાર સિસ્ટમ છે, જે 600 કિલોમીટરના અંતર સુધીના હવાઈ લક્ષ્યોને શોધીને ટાર્ગેટ કરી શકે છે. આ મિસાઈલ એકસાથે 80 હવાઈ લક્ષ્યોને નિશાન બનાવી શકે છે.
એકવાર સિસ્ટમ સક્રિય થયા પછી અને સિગ્નલ મળ્યાના 3 મિનિટમાં જ ફાયરિંગ માટે તૈયાર થઈ જાય છે. તેનો અર્થ એ કે દુશ્મનોના હુમલો તરત જ નિષ્ફળ બનાવી દે છે.