
હેડિંગ્લીમાં મળેલી હાર ભૂલીને, ટીમ ઈન્ડિયા બર્મિંઘમના એજબેસ્ટનમાં મજબૂત વાપસી કરવાની તૈયારી કરી રહી છે. કેટલાક અહેવાલો બહાર આવ્યા છે કે વર્કલોડને ધ્યાનમાં રાખીને, જસપ્રીત બુમરાહને બીજી ટેસ્ટ મેચમાં આરામ આપી શકાય છે. બુમરાહ પ્રથમ ટેસ્ટમાં એકમાત્ર બોલર હતો જે સારી લયમાં દેખાયો હતો. બુમરાહે પહેલી ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી. જોકે, ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન માને છે કે ટીમ ઈન્ડિયાએ બુમરાહ પર નિર્ભરતા ઓછી કરવી જોઈએ. તેણે કહ્યું કે ટીમ મેનેજમેન્ટે બીજી ટેસ્ટમાં કુલદીપ યાદવને તક આપવી જોઈએ.
બુમરાહ પર વધુ પડતી નિર્ભરતા યોગ્ય નથી
PTI સાથે વાત કરતા મોહમ્મદ અઝહરુદ્દીને કહ્યું, "ટીમ ઈન્ડિયા બુમરાહ પર વધુ પડતી નિર્ભર છે. આ સરળ નથી, કારણ કે તમારે વધુ અનુભવી બોલરોની જરૂર છે. ટીમ ઈન્ડિયાએ કુલદીપ યાદવને કોઈપણ કિંમતે રમાડવો જોઈએ." અઝહરુદ્દીન માને છે કે ટીમમાં રિસ્ટ સ્પિનરનો સમાવેશ કરવાથી, ટીમ ઈન્ડિયાની બોલિંગ વધુ સંતુલિત બનશે. ભૂતપૂર્વ કેપ્ટને પ્રથમ ટેસ્ટમાં હાર માટે ભારતીય બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા. તેણે કહ્યું, "આપણે નબળી બેટિંગને કારણે હેડિંગ્લીમાં હારી ગયા, પરંતુ હવે ટીમે યોગ્ય ખેલાડીઓ પસંદ કરવા જોઈએ. આપણી બોલિંગ પરફેક્ટ હોવી જોઈએ."
પહેલી ટેસ્ટમાં હાર
ટીમ ઈન્ડિયાને પહેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીતવા માટે 371 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. જોકે, ઈંગ્લેન્ડની ટીમે ફક્ત 5 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. બેન ડકેટે ટીમ માટે શાનદાર બેટિંગ કરી અને 149 રનની ઈનિંગ રમી હતી. જ્યારે જો રૂટ અને જેક ક્રોલીએ પણ અડધી સદી ફટકારી હતો. બંને ઈનિંગમાં ભારતીય બોલરોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.