
Rajkot News: રાજકોટમાં એક પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધવાનો મામલો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લામાં જેતપુરના જલારામ વિરપુર પોલીસ મથકના કોન્સ્ટેબલ સતત 316 દિવસ ગેરહાજર રહેતા કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ ઘટનાને લઈ રાજકોટ ગ્રામ્ય પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. કોન્સ્ટેબલે એસપીએ આપેલી જીપી એકટ હેઠળ નોટિસનો જવાબ પણ આપ્યો નહતો.
વિરપુર પીઆઈ ફરિયાદી બન્યા અને અટક બાદ સસ્પેન્શન્સ સુધીની કાર્યવાહી હાથ ધરી હતી. વિરપુર પોલીસ મથકના પીઆઈ શૈલેષકુમાર રાઠોડએ વિરપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મયુર ઉઘાડ સામે ફરીયાદ નોંધાવી છે. ૨૯/૦૫/૨૦૨૪ના ટેલીફોનીક જાણ કરી હતી કે, તેઓને પગની પેનીમાં ફેકચર થયું હોવાથી સીક લીવમાં ગયા હતા.
માત્ર પાંચ મહિનાના જ મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યા હતા
કર્મચારીએ તા. ૨૪/૧૦/૨૦૨૪ સુધીના મેડીકલ સર્ટી રજુ કરેલ ત્યારબાદ અન્ય કોઈ મેડીકલ સર્ટિ રજુ કર્યા ન હતા. અલગ અલગ સમયે કોન્સ્ટેબલને ત્રણ વખત ફરજ પર હાજર થવા માટે નોટીસ પણ આપવામાં આવી હતી. છતાં તેઓ પોતાની ફરજ પર હાજર થયા નહી તેમજ રાજકોટ એસપી દ્વારા તા.૧૨/૦૨/૨૦૨૫થી ફરજ પર હાજર થવા માટે જી.પી.એકટ ૧૪૫ મુજબની નોટીસ આપવામાં આવી હતી.
પોલીસ કોન્સ્ટેબલ મયુર ઉધાડ આજ સુધી પોતાની ફરજ ઉપર હાજર થયા નહીં અને ફરજ પરની બેદરકારી દાખવી હતી જેથી રાજકોટ એસપી દ્વારા ગુનો રજીસ્ટર કરવા સુચના આપી હતી. પોલીસ કોન્સ્ટેબલ મયુર ઉઘાડ વિરુદ્ધ જી.પી. એક્ટ કલમ ૧૪૫ (૨) મુજબ કાયદેસર ફરીયાદ નોંધાવવામાં આવી છે.