
સુરતના ટેક્સટાઈલ હબ ગણાતા પરવટ પાટિયાની અવધ ઋતુરાજ માર્કેટના બી-વિંગમાં લાગેલી આગના બનાવ પછી સુરત ફાયર વિભાગે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. આગના કારણો અંગે હજુ તપાસ ચાલી રહી છે, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ વીજ કરંટનો શોર્ટસર્કિટ મુખ્ય કારણ હોવાનું અનુમાન છે. આ ઘટનાને પગલે ફાયર વિભાગે સમગ્ર માર્કેટને વિજ સુરક્ષા બાબતે સૂચના આપી છે. વિશેષરૂપે, B-વિંગના તમામ દુકાનદારોને એમના દુકાનોનું ઈલેક્ટ્રિક સર્ટિફિકેટ રજૂ કરવા ફરજિયાત કરવામાં આવ્યા છે. જયાં સુધી આ પ્રમાણપત્ર ફાયર વિભાગ સમક્ષ રજૂ નહીં થાય, ત્યાં સુધી કોઈપણ દુકાન ખોલવાની મંજૂરી આપવામાં નહીં આવે, એવું અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે.
સલામતી સાથે છેડછાડ નહી
શિવશક્તિ માર્કેટમાં અગાઉ બનેલી ગંભીર દુર્ઘટનાની પીઠભૂમિ પર હવે ફાયર વિભાગ કોઈપણ અદ્રશ્ય ખામી સામે સંપૂર્ણ ચેતન બન્યું છે. પૂર્વ ઘટનામાં આગ બાદ માછલા ધોવાઈ ગયા હોય તેમ વેપારીઓએ સલામતી તરફ પૂરેપૂરું ધ્યાન આપ્યું નહોતું, જેને ધ્યાનમાં રાખી આ વખતે તંત્રએ પહેલેથી જ કડક કાર્યવાહી શરૂ કરી છે.ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, દુકાનોમાં વિજ સંયોજનો પુરતા મજબૂત અને સુરક્ષિત હોવા જોઈએ, જેથી આગ જેવી દુર્ઘટનાઓને ટાળી શકાય.
ઈલેક્ટ્રિક ઈન્સ્પેક્શન શરૂ કરાવ્યું
માર્કેટ સંચાલકોને પણ સુચના આપવામાં આવી છે કે તેઓ સંપૂર્ણ માર્કેટના વીજ પ્લાન અને સ્ટ્રક્ચરલ સુરક્ષા અંગે વિગતવાર રિપોર્ટ રજૂ કરે. આ ઘટનાને પગલે વેપારીઓમાં પણ દહેશત જોવા મળી રહી છે, અને ઘણા વેપારીઓએ તાત્કાલિક ઇલેક્ટ્રિક ઈન્સ્પેક્શન શરૂ કરાવ્યું છે. સુરક્ષા અનિવાર્ય છે અને વેપારીઓ તેમજ તંત્ર બંનેએ હવે સાથે મળીને આવી ઘટનાઓની અટકાવવાનો સંકલ્પ લેવાનો સમય આવ્યો છે.