
ગાંધીનગરમાં આજે મહાત્મા મંદિર ખાતે નવા ચૂંટાયેલા સરપંચ અને સદસ્યોનો અભિવાદન સમારોહ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં આમંત્રણ પત્રિકામાં પંચાયત મંત્રી રહેલા બચુ ખાબડનું નામ જ નથી. આમંત્રણ પત્રિકામાં સમારોહના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રેરક ઉપસ્થિતિમાં સી.આર.પાટીલનું નામ જ છે. મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણી બાદ જાહેર કાર્યક્રમમાંથી રાજ્ય કક્ષાના પંચાયત મંત્રી બચુ ખાબડને બાકાત રાખવામાં આવી રહ્યાં છે.
ગાંધીનગરમાં નવા ચૂંટાયેલા સરપંચ અને સદસ્યોનો અભિવાદન સમારોહ
ગાંધીનગરમાં બપોરે 2 વાગ્યે મહાત્મા મંદિર ખાતે નવા ચૂંટાયેલા સરપંચ અને સદસ્યોનો અભિવાદન સમારોહ યોજવામાં આવશે. પંચાયત વિભાગના વિવિધ વિકાસ કામો માટે 1200 કરોડથી વધુ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. તાજેતરમાં પૂર્ણ થયેલ ગ્રામ પંચાયત ચૂંટણીમાં 56 મહિલા સમરસ ગ્રામ પંચાયત જાહેર થઇ છે. 4,876 નવા ચૂંટાયેલા સરપંચ-600 મહિલા સમરસ ગ્રામ પંચાયત સભ્ય કાર્યક્રમમાં જોડાશે. 761 સમરસ ગ્રામ પંચાયતો માટે સમરસ ગ્રામ યોજના અંતર્ગત 35 કરોડથી વધુ પ્રોત્સાહક ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે.
મનરેગા કૌભાંડમાં મંત્રીના પુત્રોની સંડોવણી બહાર આવી
મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના) કૌભાંડમાં ગુજરાતના દાહોદ જિલ્લામાં રાજ્યના પંચાયત રાજ મંત્રી બચુ ખાબડના બંને પુત્રો, બળવંત ખાબડ અને કિરણ ખાબડ,ની સંડોવણી બહાર આવી છે. આ કૌભાંડે રાજ્યના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજના હેઠળ રૂ. 71 કરોડના કામોમાં ગેરરીતિ આચરાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, ધાનપુરના ભાણપુરમાં રૂ. 33 લાખ અને દેવગઢ બારિયાના લવારિયામાં રૂ. 18.41 લાખના કામોમાં પણ કૌભાંડ થયાની ફરિયાદ નોંધાઈ છે.દાહોદ પોલીસે 17 મે, 2025ના રોજ મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરી હતી.બળવંતની ધરપકડ બાદ, મંત્રીના નાના પુત્ર કિરણ ખાબડને 19 મે, 2025ના રોજ વડોદરા-કાલોલ હાઇવે પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.