
Ahmedabad news: અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ચોમાસાની સિઝનને સત્તાવાર આગમનને એક પખવાડિયા કરતાં વધુ સમય થઈ ગયો છે. ત્યારે અમદાવાદ શહેર સહિત ગ્રામ્યમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ઝાડા-ઊલ્ટી, ટાઈફોઈડ, કમળાના કેસોમાં સતત વધારો થતા નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. શહેરના રામોલ, વટવા, હાથીજણ અને સરસપુરમાં કોલેરાના સતત કેસો વધી રહ્યા છે જેથી એએમસી તંત્ર માટે પણ માથાનો દુખાવો થઈ રહ્યો છે. શહેરમાં રોગચાળાના કેસો વધી જતા તંત્ર અને જનતા માટે કફોડી સ્થિતિ સર્જાઈ છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ચોમાસાની ઋતુ શરુ થયાને હજી પખવાડિયું જ થયું છે ત્યારે રોગચાળાએ માથું ઉચકયું છે. મચ્છરજન્ય, પાણીજન્ય કેસો વધ્યા છે. જુલાઈ માસને હજી અઠવાડિયું જ થયું છે ત્યારે સાદા મેલેરિયાના 4, ડૅન્ગ્યૂના 10 કેસ નોંધાયા છે. ઝાડા ઊલ્ટીના 184 કેસ,ટાઈફોઈડના 92 કેસ અને કમળાના 69 કેસ નોંધાયા છે. જુલાઈ મહિનામાં કોલેરાના છ કેસ નોંધાતા તંત્ર પણ દોડધામમાં છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસો વટવા, હાથીજણ, રામોલ અને સરસપુરમાં સૌથી વધુ કેસ નોંધાયા છે, જેથી એએમસીનું આરોગ્ય વિભાગ શહેરની સોસાયટીઓ, રહેણાક વિસ્તાર તેમજ ભોંયરામાં મચ્છરોના બ્રિડની તપાસ શરૂ કરશે.