
નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી ઘાટ પર 29 માર્ચથી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાની શરૂઆત થઇ હતી, જે 27 એપ્રિલ સુધી ચાલશે. ત્યારે શનિવાર (12મી એપ્રિલ) અને રવિવાર (13મી એપ્રિલ)ની રજા હોવાથી નર્મદા પરિક્રમાના રસ્તે માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું. ડભોઈ, તિલકવાડાના નાકે અને રાજપીપળા તરફ બે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા રસ્તાઓ બંધ કરી દેવાની નોબત આવી હતી.
નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં કીડીયારું ઉભરાયું
રાજ્યમાં શુક્રવારથી સોમવાર સુધી રજા હોવાથી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમા માટે શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા. ભક્તોની ભારે ભીડના કારણે રામપુરા કીડી મકોડી ઘાટ જવા માટે રાત્રિથી જ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેથી હજારો પરિક્રમાવાસીઓ પરિક્રમા કર્યા વગર પરત ફર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બસ સેવાની માંગ કરી છે. રેંગણ ઘાટ ખાતેથી પરિક્રમાવાસીઓને નદીની સામે પાર લઈ જવા માટે નાવડીઓ ઓછી પડી છે. જેથી રેંગણ ઘાટ પર ભીડ ઓછી કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની 13 મિની બસ સેવામાં મૂકાઈ છે.
નર્મદા પરિક્રમા કીડી મકોડી ઘાટથી શરૂ થાય છે
શિવપુત્રી તરીકે ઓળખાતી પવિત્ર નર્મદા નદીની પરિક્રમામાં પૂર્ણ પરિક્રમા જેટલું જ ધાર્મિક મહત્ત્વ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું છે. જે 21 કિ.મી.ની જ પરિક્રમા થાય છે. નર્મદા નદીની પરિક્રમા રામપુરા ગામના કીડી મકોડી ઘાટથી શરૂ થાય છે. ત્યારબાદ આગળ વધતા તિલકવાડા પાસે નદીના કિનારાની જગ્યાએથી નાવડીમાં બેસી નદી પાર કરી સામે કિનારે જઈ પાછું નાવડીમાં આવવાનું હોય છે. એટલે પરિક્રમા કરતી વખતે બે વખત નર્મદા નદીને પાર કરવાની રહે છે. આ ઉપરાંત પરિક્રમાને ધ્યાનમાં રાખીને હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે જેટી તૈયાર કરવામાં આવી છે.
જિલ્લા કલેકટરે રજાના દિવસોમાં ન આવવા અપીલ કરી
નર્મદા જિલ્લા કલેકટરે તાબડતોબ પ્રેસ કોન્ફરન્સ બોલાવી નર્મદા પરિક્રમા કરવા માટે આવતા ભક્તોને રજાના દિવસોમાં પરિક્રમા કરવા માટે ન આવવા માટે અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટર પરિક્રમા વાસીઓને માટે તંત્ર મદદ કરી રહ્યું છે. જો કે, રજાના દિવસોમાં વધારે પડતા લોકો પરિક્રમા કરવા આવતા મુશ્કેલી સર્જાય છે.