
છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલ વિરોધી અભિયાન દરમિયાન CRPF અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સામસામે થયેલા ગોળીબાર દરમિયાન CRPFના એક જવાન શહીદ થયા છે અને બે જવાનો ઘાયલ થયા છે. આ દરમિયાન એક નક્સલીને પણ ઠાર કરવામાં આવ્યો છે.
સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ગોળીબાર
બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં નક્સલીઓ હોવાની માહિતી મળ્યા બાદ સીઆરપીએફની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ દરમિયાન નક્સલીઓએ તેમના પર અચાનક હુમલો કરી દીધો હતો. અધિકારીઓએ કહ્યું કે, નક્સલીઓની માહિતી મળ્યા બાદ સુકમાના ડીઆરજી, એસટીએફ અને કમાન્ડેની સંયુક્ત ટીમોને સ્થળ પર મોકલાયા હતા. તેઓને નક્સલીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાવ માટે મોકલાયા હતા. આ દરમિયાન સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ગોળીબાર થયો હતો.
કોબ્રા કમાન્ડો શહીદ
પોલીસ અધિકારીઓએ કહ્યું કે, ‘અથડામણમાં કોબ્રા કમાન્ડો શહીદ થયા છે. સુરક્ષાદળોએ એક નક્સલીને પણ ઠાર કર્યો છે. બે કોબરા કમાન્ડો ઘાયલ થયા હોવાના પણ સમાચાર મળતા જ તેઓને ત્યાંથી હોસ્પિટલ લઈ જવા માટે વાયુસેનાનું હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે.’
આ નક્સલી હુમલામાં ભાવનગરના જવાન શહિદ થયા
છત્તીસગઢના નક્સલી હુમલામાં ભાવનગરના દેવગાણા ગામના જવાન શહિદ થયા હતા. શિહોર તાલુકાના દેવગાણા ગામના મેહુલભાઈ સોલંકી જેઓ કોબ્રા કમાન્ડોમાં ફરજ બજાવતા હતા. આવતીકાલે તેમના પાર્થિવ દેહને દેવગણા મુકામે લાવવામાં આવશે. જ્યાં આર્મીના નીતિ નિયમ મુજબ તેમની અંતિમવિધિ કરાશે.
https://twitter.com/ANI/status/1925579236024242474
ગઈકાલે નારાયણપુરામાં 27 નક્સલીઓ ઠાર કર્યા
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે (21 મે) છત્તસીગઢના નારાયણપુરમાં જવાનોએ મોટું અભિયાન પાર પાડી નક્સલીઓનો વડો બસવરાજૂ સહિત 27 નક્સલીઓને ઠાર કર્યા હતા. તમામ નક્સલીઓના મૃતદેહને હેલિકોપ્ટરથી લવાયા છે. છત્તીસગઢમાંથી નક્સલીઓનો સફાયો કરવા માટે સુરક્ષા દળના જવાનો જુદા જુદા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન સહિતની કાર્યવાહી કરી રહ્યા છે.