
Rajkot News: સીટી બસ ચાલક દ્વારા સર્જવામાં આવેલ અકસ્માત મામલે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, અકસ્માતમાં મૃત્યુ આંક ચાર પર પહોંચ્યો છે. મૃતકોમાં બે મહિલા અને બે પુરુષનો સમાવેશ છે, તેમજ 3 લોકો ઘાયલ છે. સીસીટીવી જોતા એવું લાગી રહ્યું છે કે ડ્રાઇવર બ્રેક નથી મારી શક્યો અથવા તો તેનાથી બ્રેક નથી લાગી. ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ડ્રાઇવર વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો તેમજ ડ્રાઇવર શિશુપાલસીંગ હાલ સારવાર હેઠળ છે અને તેને ટર્મિનેટ કરવામાં આવ્યો છે.
અકસ્માતમાં મૃતકોના નામ :
કિરણબેન કક્કડ
દિનેશભાઈ ઉર્ફે લાલો
35 વર્ષીય રાજુભાઈ મનુભાઈ ગીડા
40 વર્ષીય સંગીતા બેન નેપાળી
મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા આર્થિક સહાય જાહેર કરાઈ
રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ ઘટનામાં ભોગ બનનારને સહાય કરી જાહેર છે. અકસ્માતની ઘટનામાં ભોગ બનનાર મૃતકોને 15 લાખ તથા ઇજાગ્રસ્તોને 2 લાખની સહાય ચુકવવામાં આવશે. મૃતકોના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોટર્મ અર્થે ખસેડવામાં આવ્યા છે. પોસ્ટમોટર્મ રુમ પાસે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે બેરીકેટ લગાવવામાં આવ્યા છે.
એજન્સી સંચાલક કોન્ટ્રાકટર વિજય ડાંગર ભાજપ સાથે સંકળાયેલ
સિટી બસ સંચાલક એજન્સીના મૂળ ભાજપ સુધી નીકળ્યા હોવાનું સામે આવ્યું છે. એજન્સી સંચાલક કોન્ટ્રાકટર વિજય ડાંગર ભાજપ સાથે સંકળાયેલો છે. તેમજ વિજય ડાંગર વોર્ડ નંબર 4 ભાજપના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે. વર્ષોથી એક જ એજન્સીને કોન્ટ્રાક્ટ શા માટે અપાય રહ્યો છે તે પણ સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. તેમજ ભાજપ સાથે જોડાયેલ હોવાથી કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. સીટી બસના ચાલક તેમજ કંડક્ટરોની અવારનવાર બેદરકારી છતાં પણ એક જ એજન્સીને કામ અપાતું હતું.
શું હતી સમગ્ર ઘટના?
આ દુર્ઘટના કેકેવી ચોક વિસ્તારમાં બની હતી. બસની અડફેટે કુલ 6 લોકો આવ્યાની જાણકારી મળી છે. જેમાંથી ચારના નિર્દોષ મૃત્યુ પામ્યા છે. અકસ્માતને પગલે સ્થાનિક અને રાહદારીઓની ભીડ એકઠી થઈ ગઇ હતી.વાહન ચાલકોને અડફેટે લઇ બસ સિગ્નલ પરથી સીધી પસાર થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે બસનો ચાલક દારુના નશામાં ધૂત હોવા અંગે પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.