
રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં પિતા પુત્રનું ઝેરને કારણે મોત થવાનો મામલો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટીમારડ ગામે આ ઘટના બની જેમાં ખેડૂત પિતા અને પુત્રનું કરુણ મોત નિપજ્યું છે. મોટી મારડ ગામના અને કૃષ્ણ નગર સોસાયટીમાં રહેતા 42 વર્ષીય ખેડૂત જીજ્ઞેશ ભાઈ દલસાણીયા ભાગીયાની વાડીએ દવાનો છંટકાવ કરતા તેમને ઝેર ચડી ગયું હતું જેને કારણે તેમનું મોત નિપજ્યું હતું.
પિતાને મૃત હાલતમાં જોઈ દિકરો ડઘાઈ ગયો
મળતી માહિતી પ્રમાણે, પિતા વાડી પર હતા અને તેમનો 18 વર્ષીય પુત્ર મીત જીજ્ઞેશ ભાઈ દલસાણીયા પોતાના ઘરેથી તે બંને માટે ટીફીન લઈને વાડીએ ગયો હતો ત્યાં પિતાને મૃત હાલતમાં જોઈ તેને લાગી આવ્યું હતું અને તે ડઘાઈ જતાં તેણે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ મીતને મોટી મારડ હોસ્પિટલ અને ત્યાંથી ધોરાજી પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને ત્યાંથી જુનાગઢ તરફ જવા રવાના થતા વચ્ચે જ મીત નું મોત નિપજ્યું હતું.
પરિવાર, મિત્રો સહિત પોલીસ તંત્ર અને રાજકીય આગેવાનો પહોંચ્યા હોસ્પિટલ
પિતા અને પુત્રના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે મોટી મારડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પરીવારજનો, મિત્રો, સંબંધીઓ, પોલીસ તંત્ર અને રાજકીય આગેવાનો સહિત સૌ કોઈ મોટી મારડ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. હાલ આ ઘટનાની પ્રાથમિક માહિતી મળી છે કિન્તું પાટણવાવ પોલીસ તંત્રની યોગ્ય તપાસ કર્યા બાદ જ સાચી હકીકત બહાર આવશે. આ ઘટનાને લઈને મોટી મારડ ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.