
બોટાદ જિલ્લાના રોહિશાળા ગામે 1246 વર્ષ જુનુ પ્રાચિન ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે, રોહિશાળા ગામ કે જે ખોડિયાર માતાજી અને તેમના સાતેય બહેનો અને ભાઈ સાથે પ્રગટ થયેલા છે જેથી ખોડિયાર માતાજીનું આ પ્રાગટ્ય સ્થળ છે. અહીં દેશના ખૂણે ખૂણેથી લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે.
બોટાદથી ૩૦ કિલોમીટર દૂર રોહિશાળા ગામ આવેલું છે અહિ ખોડિયાર માતાજી તેમની સાત બહેનો અને ભાઈ સાથે વાંઝિયા મહેણું ભાંગવા પ્રગટ થયેલાં જેથી રોહિશાળા ખોડિયાર માતાજીનું પ્રાગટય સ્થાન કહેવાય છે. ત્યારે હાલ અહિ ભવ્ય ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. અહિ રોજ દેશ અને દુનિયામાંથી ભક્તો ખોડિયાર માતાજીના દર્શને આવે છે.
કહેવાય છે કે જે કોઈ દુ:ખી લોકો શ્રધ્ધાથી માતાજીને પોતાના દુ:ખની પ્રાથના કરે એટલે ચોક્કસ માતાજી તેના દુ:ખ દુર કરે છે. જ્યારે મંદિર દ્વારા દરેક ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે અને રામનવમીના દિવસે ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી મોટો ઉત્સવ ઉજવાય છે. તેમજ નવરાત્રીમા પણ ગામ લોકો મળીને ઉજવણી કરે છે. જ્યારે બહારથી આવતા યાત્રાળુઓ માટે મંદિર દ્વારા ચા, પાણી, તેમજ પ્રસાદી અને રહેવાની સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવે છે.
બોટાદના રોહિશાળા ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિર કે જે પ્રાચિન મંદિર આવેલું છે, આ મંદિરના ઈતિહાસ વિશે જોઈએ તો 1246 વર્ષ પહેલાની વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા. તે ભગવાન શિવનો પરમ ઉપાસક હતા. તેમનાં પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળાં હતાં.
તેઓ માલધારી હોવાથી ઘરે દૂઝણાંને લીધે લક્ષ્મીનો કોઈ પાર ન હતો, પણ ખોળાનો ખૂંદનાર કોઈ ન હતું, તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વણલખ્યો નિયમ હતો.
તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિવાદિત્ય નામના રાજા રાજ કરતા હતા. જેમને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી. મામડિયા ચારણ તેમના દરબારમાં અચૂક હાજર રહેતા. જે દિવસે તે દરબારમાં ન હોય તે દિવસે રાજાને દરબારમાં કાંઈક ખૂટતું હોય તેમ લાગતું.
દુનિયામાં ઈર્ષ્યાળુઓની કોઈ જ કમી નથી. આ રાજાના દરબારમાં પણ કેટલાક ઈર્ષ્યાળુઓ હતા કે જેમને રાજા અને મામડિયા ચારણની મિત્રતા આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. આવા લોકોએ એક દિવસ રાજાના મનમાં એવી વાત ઠસાવી દીધી કે મામડિયા ચારણ નિ:સંતાન છે. તેમનું મોં જોવાથી અપશુકન થાય છે. તેનાથી આપણું રાજ્ય પણ ચાલ્યું જાય તેવું બની શકે. રાજા ઈર્ષ્યાળુ લોકોની વાતમાં આવી ગયા.
મામડિયા ચારણના વાંઝિયામહેણા ભાગ્યા
એક દિવસ મામડિયા પોતાના નિત્યક્રમ મુજબ વહેલી સવારે રાજમહેલમાં આવ્યા. રાજાએ કહ્યું કે, `હવે આપણી મિત્રતા પૂરી થાય છે.' એમ કહીને ચાલ્યા ગયા. તેનું કારણ જાણીને મામડિયા ચારણને ખૂબ જ દુ:ખ થયું. લોકો પણ તેમને વાંઝિયામહેણાં મારવા લાગ્યા. મામડિયા દુ:ખી હૃદયે ઘરે આવીને સઘળી વાત પોતાની પત્નીને કરે છે.
મામડિયા ચારણને હવે જિંદગી ઝેર જેવી લાગવા લાગી. તેમણે ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા કરશે. ઘણી આરાધના કરવા છતાં ભગવાન શિવ પ્રસન્ન ન થતાં મામડિયા પોતાનું મસ્તક તલવારથી ઉતારવા જતાં હતા કે ત્યાં જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું, પાતળલોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે.
મામડિયા ચારણના ઘરે આઈ ખોડિયાર અવતર્યા
મામડિયા ચારણ ખુશ થઈને ઘરે ગયા અને પોતાની પત્નીને બધી જ વાત કરી. તેમની પત્નીએ ભગવાન શિવના કહેવા પ્રમાણે મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણાં રાખ્યાં. જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયાં અને બાળક સ્વરૂપ ધારણ કર્યું. મામડિયાને ત્યાં અવતરેલ કન્યાનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈનું નામ મેરખિયો રાખવામાં આવ્યું.
ખોડિયાર નામ કેવી રીતે પડ્યું?
એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી સાપે દંશ દીધો હતો. તેનો જીવ જોખમમાં હતો. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઊગે તે પહેલાં લાવવામાં આવે તો જ મેરખિયાનો જીવ બચી શકે તેમ છે.
આ સાંભળીને બહેનોમાં સૌથી નાનાં એવાં જાનબાઈ પાતાળમાં કુંભ લેવા માટે ગયાં. તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતાં હતાં ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેમને ઈજા થઈ, તેથી જાનબાઈએ ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે મગરની સવારી કરી. ત્યારથી મગર તેમનું વાહન બન્યો. જ્યારે તેઓ પાણીની બહાર આવ્યાં ત્યારે પગમાં ઈજા પહોંચી હોવાને કારણે ખોડાતાં ખોડાતાં ચાલવા લાગ્યાં. તેમને જોઈને બધા કહેવા લાગ્યાં કે ખોડિ આવી,ખોડિ આવી. ત્યારથી તેઓ ખોડિયારના નામે ઓળખાવા લાગ્યાં.