
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત માટે હજુ થોડો સમય બાકી છે. પરંતુ તે પહેલા બધા ઈન્ડિયા-A ટીમની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. શુક્રવાર, 16 મેના રોજ, BCCI એ આ ટીમની જાહેરાત કરી છે. મેન્સ સિનિયર સિલેકશન કમિટીએ ઈંગ્લેન્ડ લાયન્સ સામેની પ્રથમ સિરીઝની મેચ માટે ઈન્ડિયા-A ટીમની જાહેરાત કરી છે. આ ટીમની કમાન અનુભવી બેટ્સમેન અભિમન્યુ ઈશ્વરનને સોંપવામાં આવી છે. આ દરમિયાન, કરુણ નાયર અને ઈશાન કિશન પણ ટીમમાં પાછા ફર્યા છે.
ઈશ્વરન કેપ્ટન બન્યો
IPL 2025 ફરી શરૂ થવાના એક દિવસ પહેલા, BCCI એ ઈંગ્લેન્ડ પ્રવાસ પર 2 ફર્સ્ટ ક્લાસ મેચ અને ટીમ ઈન્ડિયા સાથે એક પ્રેક્ટિસ મેચ માટે ઈન્ડિયા-A ટીમની જાહેરાત કરી હતી. અપેક્ષા મુજબ, બંગાળના અનુભવી ઓપનર અભિમન્યુ ઈશ્વરનને કમાન સોંપવામાં આવી છે. અગાઉ, ઋતુરાજ ગાયકવાડે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ઈન્ડિયા-A ટીમની કેપ્ટનશિપ કરી હતી, પરંતુ આ વખતે તે ટીમનું નેતૃત્વ નથી કરી રહ્યો. જોકે, તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.
30 મેથી શરૂ થતી આ સિરીઝ માટે પસંદ કરાયેલી ટીમની ખાસ વાત એ છે કે અનુભવી બેટ્સમેન કરુણ નાયરને ઘણા વર્ષો પછી ભારતીય ટીમમાં પાછા ફરવાની તક મળી છે. ગત ડોમેસ્ટિક સિઝનમાં ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ-વન ક્રિકેટમાં 1600થી વધુ રન અને 9 સદી ફટકારનાર કરુણને ટીમ ઈન્ડિયામાં બોલાવવાની સતત માંગ થઈ રહી હતી. આવી સ્થિતિમાં, ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલાં ઈન્ડિયા-Aમાં તક મળવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો તે અહીં સારું પ્રદર્શન કરશે તો તે ટેસ્ટ ટીમમાં પણ વાપસી કરી શકે છે.
ગિલ અને જયસ્વાલ પણ ટીમનો ભાગ
તેના ઉપરાંત, ઈશાન કિશનને પણ ફરી એકવાર તક આપવામાં આવી છે. ડિસેમ્બર 2023માં અચાનક ટીમ ઈન્ડિયા છોડીને પરત ફરેલા ઈશાનને સિલેક્ટર્સે દોઢ વર્ષ પછી તક આપી છે. એટલું જ નહીં, આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના કેટલાક નિયમિત ખેલાડીઓની પણ પસંદગી કરવામાં આવી છે, જેમાં શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ સૌથી મોટા નામ છે. શુભમનને નવો ટેસ્ટ કેપ્ટન બનાવવાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ તેને બીજી ફર્સ્ટ ક્લાસ મેચ પહેલા ટીમમાં જોડાવાનું પણ કહેવામાં આવ્યું છે. બીજી મેચ 6 જૂનથી શરૂ થશે.
આ IPL ફાઈનલને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, જેમાં ગિલની ટીમ ગુજરાત ટાઈટન્સ (GT) હજુ પણ સ્પર્ધામાં છે. GTમાં ગિલના સાથી સાઈ સુદર્શનને પણ બીજી મેચમાં જોડાવા માટે પસંદ કરવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુરની પણ પસંદગી કરવામાં આવી છે, જે પહેલી મેચથી જ ટીમમાં રહેશે. આ સિવાય નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, આકાશદીપ, ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાનને પણ તક આપવામાં આવી છે. આ બધા ખેલાડીઓ છેલ્લા એક વર્ષમાં સિનિયર ભારતીય ટીમનો ભાગ રહ્યા છે.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ઈન્ડિયા-A ટીમ
અભિમન્યુ ઈશ્વરન (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડી, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, માનવ સુથાર, તનુષ કોટિયન, મુકેશ કુમાર, આકાશદીપ, હર્ષિત રાણા, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ, ઋતુરાજ ગાયકવાડ, સરફરાઝ ખાન, તુષાર દેશપાંડે, હર્ષ દુબે, શુભમન ગિલ અને સાઈ સુદર્શન (બંને બીજી મેચથી ઉપલબ્ધ થશે).