
SRH Hotel Fire: સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) નું IPL 2025 માં અત્યાર સુધી પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ટીમનો આગામી મુકાબલો 17 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. એક અહેવાલ મુજબ, સોમવારે સવારે હૈદરાબાદની ટીમ હોટલમાં આગ લાગી હતી. જોકે, મહત્ત્વની વાત એ છે કે બધા ખેલાડીઓ સુરક્ષિત છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ના ખેલાડીઓ હૈદરાબાદના બંજારા હિલ્સમાં રોકાયા છે. અહીં પાર્ક હયાત હોટેલના પહેલા માળે આગ લાગી હતી. જોકે, ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ પછી આગ પર કાબુ મેળવાયો હતો. આગને કારણે હોટલ અને તેની આસપાસના વિસ્તારોમાં ધુમાડો ફેલાઈ ગયો. સારી વાત એ છે કે બધા ખેલાડીઓ સુરક્ષિત છે.
ખેલાડીઓને બીજી હોટલમાં શિફ્ટ કરાયા
એક અહેવાલ મુજબ, આગ લાગ્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓને બીજી હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આગ લાગ્યા પછી, હોટલની અંદરના લોકો બહાર દોડી ગયા. મહત્ત્વની વાત એ હતી કે ફાયર બ્રિગેડના આગમન પછી મામલો સંભાળી લેવામાં આવ્યો હતો.
આ સિઝનમાં SRHનું પ્રદર્શન
આ સિઝનમાં SRHનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે. ટીમે 6 મેચ રમી છે અને માત્ર 2 જીતી છે. જ્યારે 4 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. SRH એ રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) ની ટીમોને હરાવી છે. જ્યારે તેને લખનૌ, દિલ્હી, કોલકાતા અને ગુજરાત સામે હારનો સામનો કરવો પડ્યો. જોકે, ટીમે છેલ્લી મેચમાં શાનદાર વાપસી કરી હતી. આ મેચમાં અભિષેક શર્માએ સદી ફટકારી હતી.