
પંજાબ કિંગ્સ (PBKS) સામે પરાજય થતા જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) IPLની પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે. CSKના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) અને હેડ કોચ ફલેમિંગે મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે હાર્યા બાદ કહ્યું કે, "અમે જરાપણ નિરાશ નથી થયા. હવે અમે બાકીની મેચો માં આગામી સિઝનની તૈયારી કરીએ છીએ. યુવા અથવા જે ખેલાડીઓને તક નથી આપી તેઓને રમાડીશું. અમારી ટીમની યોગ્ય સમતુલા કઈ રીતે થાય છે તે જોઈશું." ફલેમિંગે કબૂલ્યું કે, "હરાજીમાં ખેલાડીઓની ખરીદી કરવામાં અમે ભૂલ કરી હતી તેમ હવે લાગે છે."
ડેરેન ગંગાની નીડરતા
CSKની આવી હાલત છે ત્યારે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ બેટર ડેરેન ગંગાએ કહ્યું છે કે, "CSKના ટીમ મેનેજમેન્ટ પર નવાઈ લાગે છે. 2008માં ધોનીની કેપ્ટન્સી હેઠળ CSK એ IPLની પ્રથમ સિઝનમાં પ્રારંભ કર્યો હતો, આજે પણ તે જ 17 વર્ષ પછી તેનો કેપ્ટન છે."
તેણે કહ્યું કે, "IPL 2022ની સિઝનમાં રવીન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યો હતો. પરંતુ તેને તે અનુકૂળ ન લાગતા ચાલુ સિઝનમાં જ તેણે કેપ્ટન્સી છોડી દીધી અને ફરી ધોનીએ કેપ્ટન્સી સંભાળી. ત્યારબાદની સિઝનમાં ૠતુરાજ ગાયકવાડ કેપ્ટન જાહેર થયો અને તે હાલની સિઝનમાં ઈજાગ્રસ્ત થતા ફરી ધોનીને કેપ્ટન્સી સોંપાઈ."
નવા કેપ્ટનને તક આપવા ડેરેન ગંગાએ કહ્યું કે, "એક તરફ CSKના હેડ કોચ અને મેનેજમેન્ટ એમ કહે કે હવે યુવા પ્રતિભાને તક આપીશું પણ નવાઈની વાત એ છે કે તેઓ કોઈ યુવા નવા કેપ્ટનને તક આપવા નથી માંગતા. ધોની કે જે બે IPLની સિઝન વચ્ચે કોઈ ક્રિકેટ જ નથી રમવાનો તે જાણવા છતાં ધોની જ કેપ્ટન તરીકે જારી રખાય છે."
તેણે કહ્યું કે, "ટીમમાં એક રેગ્યુલર ખેલાડી કે જે તેના કરતા વઘુ સારો દેખાવ કરી શકે, તેનું સ્થાન ધોની પોતે રોકીને ટીમના કોમ્બિનેશનમાં નુકશાન કરે છે તો પણ તે ધરાર ટીમમાં સ્થાન જાળવે છે. CSK એ જાડેજા કે ગાયકવાડ કેપ્ટન તરીકે અનફીટ જાહેર થાય ત્યારે કોઈ બીજા યુવા કેપ્ટનને જવાબદારી સોંપવી જોઈએ. ધોની પોતે જ કેમ કેપ્ટન્સી સામે ચાલીને નથી છોડતો. કોહલી, રોહિત શર્માના સ્થાને યુવા કેપ્ટનો ફ્રેન્ચાઈઝીઓએ રાખ્યા જ છે ને."
ડેરેન ગંગાએ કહ્યું કે, "આવતી સિઝનમાં ધોની રમવાનો છે કે નહીં તે છેક સુધી ખબર જ ન હોય અને મેનેજમેન્ટ કેપ્ટન કોણ હશે તેની અનિશ્ચિતતા વચ્ચે જ ટીમનું નવઘડતર કરે તે કેવું. જો આ જ રીતે ધોનીને કેન્દ્રમાં રાખી CSK ટીમ તૈયાર કરશે તો પરિસ્થિતિમાં કોઈ સુધારો નહીં થાય જ્યાં છે ત્યાં જ ફરી આવી જવાનું રહેશે. ધોની અને ટીમ મેનેજમેન્ટ બતાવે છે કે તેને કેપ્ટન બનવાની પડી નથી પણ અંદરખાને તેવી મહત્વકાંક્ષા લાગે છે.'