
IPL 2025માં પ્લેઓફ સ્ટેજ ચરમસીમાએ છે, અને બધાની નજર 1 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ક્વોલિફાયર-2 મેચ પર છે, જ્યાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) નો મુકાબલો પંજાબ કિંગ્સ (PBKS) સામે થશે. ફાઈનલમાં પહોંચવા માટે આ મેચ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, આ મેચના વિજેતાનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે થશે, જેણે ક્વોલિફાયર-1માં PBKSને હરાવીને ફાઈનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી લીધું છે. પરંતુ જો આ ક્વોલિફાયર-2 મેચ વરસાદ કે અન્ય કોઈ કારણોસર રદ્દ થાય છે, તો કઈ ટીમ ફાઈનલમાં રમશે?
જો મેચ રદ્દ થાય છે, તો કોણ રમશે ફાઈનલ?
IPL 2025ના પ્લેઓફ ફોર્મેટ મુજબ, લીગ સ્ટેજના અંતે ટોપ ચાર ટીમો પ્લેઓફમાં પહોંચે છે. ટોપ બે ટીમો ક્વોલિફાયર-1માં ટકરાય છે, જેની વિજેતા ટીમ ફાઈનલમાં જાય છે. જ્યારે ત્રીજા અને ચોથા ક્રમે રહેલી ટીમો એલિમિનેટરમાં રમે છે, અને તેની વિજેતા ટીમ ક્વોલિફાયર-1માં હારેલી ટીમ સામે ક્વોલિફાયર-2 રમે છે. ક્વોલિફાયર-2ના વિજેતાનો સામનો ફાઈનલમાં ક્વોલિફાયર-1ના વિજેતા સાથે થાય છે. PBKS ક્વોલિફાયર-1 હારીને અને MI એલિમિનેટર જીતીને ક્વોલિફાયર-2માં પહોંચ્યા છે.
IPLના નિયમો અનુસાર, જો ક્વોલિફાયર-2 મેચ વરસાદ અથવા અન્ય કોઈ કારણોસર રદ્દ થાય છે, તો લીગ સ્ટેજમાં વધુ સારી રેન્કિંગ ધરાવતી ટીમને ફાઈનલમાં સ્થાન મળે છે. આ કિસ્સામાં, PBKS, જે લીગ સ્ટેજમાં 19 પોઈન્ટ અને વધુ સારી નેટ રન રેટ (+0.376) સાથે પ્રથમ સ્થાને હતી, તે ફાઈનલમાં પ્રવેશ કરશે. આનો અર્થ એ છે કે જો મેચ કોઈ કારણોસર રદ્દ થાય છે, તો PBKS ફાઈનલમાં RCB સામે રમશે.
કોઈપણ ભોગે પરિણામ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે
PBKS અને MI વચ્ચે રમાનારી આ મેચ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, કોઈપણ ભોગે આ મેચનું પરિણામ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. ઓછામાં ઓછી 5-5 ઓવર રમવી જરૂરી છે. જો તે પણ શક્ય ન હોય તો સુપર ઓવર રમાડવામાં આવશે.