
જસપ્રીત બુમરાહ ઈજાના કારણે IPL 2025ના શરૂઆતના તબક્કામાં નથી રમી રહ્યો. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન તે ઘાયલ થયો હતો અને ત્યારથી તે ભારતીય ટીમની બહાર છે. આ કારણોસર, તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ ભાગ નહતો લઈ શક્યો અને IPLની મેચમાંથી પણ બહાર છે. હવે બુમરાહ પર એક નવું અપડેટ આવ્યું છે. એક અહેવાલ મુજબ, બુમરાહ માટે 4 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ અને 7 એપ્રિલે RCB સામેની મેચમાં રમવું મુશ્કેલ છે.
જસપ્રીત બુમરાહ આગામી બે મેચ નહીં રમી શકે
કમરની સમસ્યાને કારણે, જસપ્રીત બુમરાહ બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં છે અને રિહેબ પર છે. એવું માનવામાં આવે છે કે તે ફિટનેસ ટેસ્ટ પાસ કરવાની ખૂબ નજીક છે અને તેની સમસ્યા ઘણી હદ સુધી ઓછી થઈ ગઈ છે. છતાં પણ તે મુંબઈ ઇન્ડિયન્સની આગામી બે મેચમાં નહીં રમી શકે. BCCIની મેડિકલ ટીમની મંજૂરી મળ્યા પછી જ તે મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં જોડાઈ શકે છે.
બુમરાહે IPLમાં 165 વિકેટ લીધી
LSG અને RCB સામેની મેચોમાં જસપ્રીત બુમરાહનું ન રમવું મુંબઈ માટે ઝટકાથી ઓછું નથી. તે તેની ઘાતક બોલિંગ માટે જાણીતો છે અને માત્ર થોડા બોલમાં મેચ બદલવામાં માહિર છે અને તેની યોર્કર બોલિંગ અજોડ છે. તેણે IPLમાં તેની બધી મેચ મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી છે અને અત્યાર સુધીમાં IPLમાં કુલ 165 વિકેટ લીધી છે.
નવા ખેલાડીઓ પર લગાવ્યો દાવ
બીજી બાજુ, મુંબઈ ઈન્ડિયન્સ માટે વર્તમાન સિઝન ખૂબ જ ઉતાર-ચઢાવવાળી રહી છે. જ્યારે નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા પ્રતિબંધને કારણે પહેલી મેચમાં નહતો રમ્યો. ત્યારે તેમના સ્થાને સૂર્યકુમાર યાદવે કેપ્ટનશિપ કરી હતી. બુમરાહ પણ ઈજાના કારણે બહાર છે. મુંબઈએ વિગ્રેશ પુથુર અને અશ્વિની કુમાર જેવા બોલરો પર આધાર રાખ્યો છે અને તેમણે સારું પ્રદર્શન કર્યું છે. મુંબઈએ ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ મેચ રમી છે, જેમાંથી તેણે એક જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે.