
Surat Suicide News: સુરત સહિત રાજ્યભરમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે સુરતના સારોલીમાં શુક્રવારે સવારે કોઈ કારણસર ટેન્શનમાં મોડેલિંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું હતું. આપઘાતના સમાચાર સાંભળીને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. આ મામલે પોલીસે તપાસનો દૌર શરૂ કર્યો છે. 19 વર્ષીય સુખપ્રિત લખવીન્દર સિંહ કૌર શુક્રવારે તેની બહેનપણીના ઘરના બેડરૂમમાં કોઈ કારણસર ટેનન્શનમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. તે મુળ મધ્યપ્રદેશના શિવપુરીની વતની હતી અને 4-5 દિવસ પહેલા સુરત આવીને બહેનપણી સાથે રહેતી હતી.
સુરત બારડોલી રોડના ભારીયા ગામમાં સારથી રેસીડન્સીમાં આ ઘટના બની હતી. આપઘાતના બનાવ જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતક મોડલનો મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક સુખપ્રિતના આપઘાત પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે પૂછપરછ શરૂ કરી છે.
પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે. સુખપ્રીત અભ્યાસની સાથે મોડલિંગનું કામ કરતી હતી. આપઘાત કર્યો તેના એક દિવસ પહેલા જ વિડીયોકોલ પર પરિવાર સાથે વાત કરી હતી. સુખપ્રીતને કામના પેમેન્ટ અન્ય કોઈ વ્યક્તિ લઈ જતું હોવાની પરિવારને આશંકા છે. દિલ્હીનો કોઈ યુવક સુખપ્રીતને કામનું જે પેમેન્ટ મળતું હતું તે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો. આ યુવતી કોઈ લિવઇનમાં રહેતી હોય તે બાબતે પણ પોલીસ તપાસ કરશે. સાથી યુવતીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. મોડેલના બે મોબાઈલ કબ્જે કરી FSLમાં મોકલવામાં આવશે.
પાંડેસરમાં પણ એક યુવતીએ કર્યો આપઘાત
સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાંડેસરા વિસ્તારમાં આવેલી અવિર્ભાવ સોસાયટીમાં રહેતી 25 વર્ષીય લક્ષ્મી ગૌતમે ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પતિએ જણાવ્યું હતું કે લક્ષ્મી મૂળ ઓરિસ્સાના ગંજામની રહેવાસી હતી. વતન જવા બાબતે બોલાચાલી થઈ હતી. તો બીજી તરફ યુવતીના ભાઈએ જણાવ્યું હતું કે, 'મારા જીજાજી દારૂ પીને આવીને મારી બહેન સાથે ઝઘડો કર્યો હતો. આવા સંજોગોમાં તેણે આ પગલુ ભર્યું હોવાની શક્યતા છે'. લક્ષ્મીને સંતાનમાં ચાર વર્ષનો પુત્ર છે. તેના પતિ લૂમ્સ ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
ઉત્રાણમાં આધેડે એસિડ ગટગટાવ્યું
જ્યારે ઉત્રાણમાં હળપતિવાસમાં રહેતા 58 વર્ષીય ભીમરાવ ચતુરભાઇ દેવડે શુક્રવારે બપોરે ઘરમાં એસિડ પી જતાં પરિવારજનો સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં શુક્રવારે ત્યારે તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે કહ્યું કે, ભીમરાવના આપઘાતનું કારણ પણ અકબંધ છે. તેમને 3 સંતાન છે. તે મુળ મહારાષ્ટ્રના નંદુરભારના વતની હતા. તેઓ છુટક મજુરી કામ કરતા હતા.