
ઈઝરાયેલે સતત બીજા દિવસે ઈરાન પર હવાઈ હુમલો કર્યો. ઈઝરાયેલી લડાકુ વિમાનોએ ફરીથી ઈરાનના પરમાણુ મથકોને નિશાન બનાવ્યા છે. ઈઝરાયેલી હુમલામાં અત્યાર સુધીમાં 78 ઈરાની લોકો માર્યા ગયા છે અને 350 થી વધુ ઘાયલ થયા છે. જેના જવાબમાં ઈરાને ઈઝરાયેલ તરફ 150 બેલિસ્ટિક મિસાઈલ છોડી છે. આ હવાઈ હુમલાઓ વચ્ચે, ત્યાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓએ ભારત સરકાર પાસેથી તાત્કાલિક સ્થળાંતરની માંગ કરી છે. આ ઘટનાએ ત્યાં હાજર વિદેશી નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓની ચિંતા વધારી દીધી છે.
અમે સુરક્ષિત છીએ, પણ ડરી ગયા છીએ
તેહરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સ (TUMS) માં MBBS ના બીજા વર્ષની વિદ્યાર્થીની તાબિયા ઝહરાએ PTI ને જણાવ્યું હતું કે “હાલમાં પરિસ્થિતિ શાંત છે અને અમે હાલમાં સુરક્ષિત છીએ, પણ અમે ડરી ગયા છીએ. હુમલો સવારે 3:30 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો અને અમને જમીન પર ધ્રુજારીનો અનુભવ થયો હતો. તે ચિંતાજનક અનુભવ હતો. તેમણે કહ્યું કે યુનિવર્સિટીના અધિકારીઓ વિદ્યાર્થીઓને મળ્યા હતા અને તેમને શાંત રહેવાની સલાહ આપી હતી, પરંતુ કયા વિસ્તારોને સુરક્ષિત ગણી શકાય તે સ્પષ્ટ કર્યું નથી.
જમ્મુ અને કાશ્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશને વિદેશ મંત્રીને પત્ર લખ્યો
જમ્મુ અને કાશ્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને પત્ર લખીને ત્યાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ, ખાસ કરીને કાશ્મીરી વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. એસોસિએશનના રાષ્ટ્રીય કન્વીનર નાસિર ખુહેમીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો તરફથી સતત ફોન આવી રહ્યા છે. આ ઉપરાંત, ઘણા વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે તેઓએ હવાઈ હુમલાના સાયરનના અવાજો સાંભળ્યા છે અને હળવી ધ્રુજારી પણ અનુભવી છે. આવી સ્થિતિમાં, અમે સરકારને અપીલ કરીએ છીએ કે તેઓ સતર્ક રહે અને પરિસ્થિતિ વધુ વણસે તો તાત્કાલિક પગલાં લઈ સ્થળાંતર યોજના તૈયાર કરે.
ફ્લાઇટ્સ પર પ્રતિબંધથી ચિંતામાં વધારો
આ દરમિયાન, ઉત્તર પ્રદેશના આઝમગઢની વિદ્યાર્થીની અલીશા રિઝવી કહે છે કે ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓને તેમના સ્થાનિક સરનામાં અને સંપર્ક નંબરો ઇમેઇલ કરવા કહ્યું છે જેથી જરૂર પડ્યે સ્થળાંતર શક્ય બને. તેણે કહ્યું કે તેહરાનનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દેવામાં આવ્યું છે અને ઇમામ ખોમેની આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
ઇઝરાયેલે પરમાણુ સ્થાપનો પર હુમલો કર્યો
ગુરુવારે રાત્રે ઇઝરાયેલે ઇરાનના મુખ્ય પરમાણુ સંવર્ધન કેન્દ્ર, રડાર સ્ટેશનો અને નતાન્ઝમાં સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સ્થાપનો પર હવાઈ હુમલો કર્યો હતો. તેહરાન સહિત પશ્ચિમી ઇરાનના ઘણા ભાગોમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા અને આકાશમાં કાળા ધુમાડાના ગોટા ઉડતા જોવા મળ્યા હતા. ઇઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હુમલાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તેનો હેતુ ઇરાનના પરમાણુ અને લશ્કરી માળખાને નિશાન બનાવવાનો હતો.
ઇરાને જવાબ આપ્યો
બદલામાં, ઇરાને ઇઝરાયેલ તરફ ડ્રોન હુમલા કર્યા. ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીએ ઇઝરાયેલી કાર્યવાહી માટે કડક સજાની ચેતવણી આપી છે. આ ઘટનાક્રમથી સમગ્ર ક્ષેત્રમાં તણાવ વધ્યો છે અને વૈશ્વિક સમુદાયમાં પણ ચિંતાઓ ઉભી થઈ છે.