
Pahalgam Attack: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ, 2025) થયેલા આતંકવાદી હુમલામાં સુરતના યુવક અને ભાવનગરના પિતા-પુત્રનું ગોળીબારમાં મોત નીપજ્યું હતું. સરકાર દ્વારા આજે બુધવારે ભાવનગરના મૃતકોના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે. સુરતના યુવકનો મૃતદેહ દિલ્હીથી અંદાજિત રાત્રે 11 વાગ્યે સુરત એરપોર્ટ લાવવામાં આવશે.
ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી જોડાશે
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોમાં યિતેશ અને સ્મિત પરમારના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના મંત્રીઓ હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, મુકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યારે સુરતના આશાસ્પદ યુવકનો મૃતદેહ દિલ્હીથી અંદાજિત રાત્રે 11 વાગ્યે સુરત એરપોર્ટ લાવવામાં આવશે અને યુવકનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગર જવા રવાના થયા છે, ત્યારે પહલગામ આતંકી હુમલાનો ભોગ બનેલા ભાવનગરના પિતા-પુત્રની આવતીકાલે ગુરુવારે અંતિમ યાત્રા નીકળશે. મૃતકોના પરિવારજનોને મળીને સાંત્વના પણ પાઠવશે. તો બીજી તરફ, ગૃહરાજ્ય મંત્રી સુરતમાં શૈલેષ કલાઠીયાની અંતિમ વિધિમાં હાજર રહેશે. કેન્દ્રીય મંત્રી તથા ભાજપ શહેર પ્રમુખ સી. આર. પાટીલ, પ્રફુલ પાનસેરિયા, મુકેશ પટેલ પણ હાજર રહેશે.