Ahmedabad Plane Crash News: અમદાવાદ શહેરમાં વિમાનની દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું છે. આ દુર્ઘટનામાં 275 લોકોના અવસાન થયા છે. રાજ્ય અને કેન્દ્રની તપાસ એજન્સીઓ સતત આ ઘટના પર કામ કરી છે. અત્યાર સુધીમાં 9 લોકોના DNA તેમના સ્નેહીજન સાથે મેચ થયા છે. તેમજ આજરોજ આ દુર્ઘટનામાં ડીએનએ મેચ થતા આજે પહેલો મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. બીજો મૃતદેહ પણ ટૂંક સમયમાં અથવા આવતીકાલે સવાર સુધીમાં તેમના પરિવારને સોંપવામાં આવશે.
એવામાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિયામક એચ. એસ. સંઘવીએ DNA મેચિંગની પ્રક્રિયા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, DNA મેચિંગની પ્રક્રિયા કેટલાક સ્ટેજમાંથી પસાર થાય છે. આ પ્રક્રિયા જટિલ અને ખુબ જ સમય માંગે છે. હાલમાં આ પ્રક્રિયામાં સરેરાશ 36થી 48 કલાક જેટલો સમય લાગી રહ્યો છે. આ પ્રક્રિયા ઝીણવટપૂર્વક અને સચોટ રીતે થાય તે ખુબ જ મહત્વનું છે.