
Vadodara news : વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સતત વધતા ક્રાઈમથી તંત્ર પણ ચિંતામાં છે. આટલું ઓછું હોય તેમ ડેસર તાલુકાના સાંઢાસાલ ગામે એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર છે.
સાંઢાસાલ-મેવલી રોડ પર સ્મશાન જવા વાળા રોડ પર આવેલા બળિયાદેવ મંદિર પાસે બાંકડા ઉપર કોઈ હથિયાર વડે માથાના ભાગે, પેટના ભાગે ગંભીર ઈજા પહોંચાડી કોઈ જ્વલનશીલ પદાર્થથી મૃતદેહને સળગાવેલ અર્ધ બળેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
જયમીન કિરણસિંહ ગોહિલ રહે ટેકરાવાળું ફળિયું, સાંઢાસાલનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ગતરાત્રિએ મૃતકના ફળિયામાં લગ્ન હતું અને મિત્રો સાથે ગયો હતો અને ત્યાંથી આ યુવક ગુમ થઈ ગયો હતો. અને આજે મૃત હાલતમાં ગામના બળિયાદેવ મંદિરના બાંકડા એથી મળી આવ્યો હતો. મૃતક યુવકનો રાત્રે દસ વાગ્યા બાદ તેનો ફોન બંધ આવતો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રેમસંબંધમાં યુવકની હત્યા થઈ હોવાની શંકા સેવાઈ રહી છે. ડેસર પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા જિલ્લાની વિવિધ તપાસ એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. યુવકના મૃતદેહને ડેસરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ગામના આશાસ્પદ યુવકના મોતના પગલે સમગ્ર ગામ અને પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ડેસર તાલુકામાં અવારનવાર હત્યાના બનાવ બનતા નાનકડો તાલુકો બિહારના માર્ગે ધકેલાતો હોય તેવું લાગી રહ્યું છે.