
જયપુરના વિદ્યાધર નગર સ્ટેડિયમ ખાતે યોજાઈ રહેલી સાત દિવસીય શિવ મહાપુરાણ કથાના બીજા દિવસે, પ્રખ્યાત કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાએ સમાજ અને સંસ્કૃતિને લગતા ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમજ તેમણે મહિલાઓના કપડાં, સંસ્કૃતિ, બાળ ઉછેર અને તબીબી સારવાર પર ઘણી ટિપ્પણીઓ કરી.
તુલસી અને છોકરીઓની નાભિની સરખામણી
પ્રદીપ મિશ્રાએ તુલસીના છોડની તુલના છોકરીઓના શરીર સાથે કરી અને કહ્યું કે, "જો તુલસીના છોડનું મૂળ દેખાય, તો છોડ મરી જાય છે. તેવી જ રીતે, છોકરીઓની નાભિ પણ શરીરનું મૂળ છે. તેને કપડાથી ઢાંકીને રાખવું જોઈએ. જેટલું વધુ તેને ઢાંકવામાં આવશે, તેટલું વધુ સુરક્ષિત રહેશે. આધુનિક પોશાકને કારણે ગુનાઓ વધી રહ્યા છે અને કોઈ સરકાર કે વહીવટીતંત્ર આ ગુનાઓને રોકી શકતું નથી, ફક્ત ઘરના સંસ્કાર જ તેમને રોકી શકે છે."
પ્રદીપ મિશ્રાએ વર્તમાન પેઢી પર પણ કટાક્ષ કર્યો
પ્રદીપ મિશ્રાએ ચંચલા દેવીની વાર્તા સંભળાવી અને મહિલાઓને 'શિષ્ટ' પોશાક પહેરવાની સલાહ આપી. તેમણે એમ પણ કહ્યું કે,"બે મોટી સમસ્યાઓ છે - ખોરાક અને કપડાં." તેમણે વર્તમાન પેઢી પર પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે, "હવે ચાર તબક્કા બાકી નથી, ફક્ત બે જ બાકી છે - બાળપણ અને વૃદ્ધાવસ્થા. મોબાઈલ ફોને બાળકોને તેમના સમય પહેલા પરિપક્વ બનાવી દીધા છે."
બીલીપત્રથી ગાંઠ મટાડવાનો કર્યો દાવો
કથાની વચ્ચે, પ્રદીપ મિશ્રાએ એક ઘરેલું ઉપાયનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જો શરીરમાં કોઈ ગાંઠ હોય તો ડોક્ટરની સલાહ લો પણ તેની સાથે બીલીપત્ર પણ ખાઓ. ડોક્ટર શિવનું સ્વરૂપ છે, સારવાર લો અને બીલીપત્રની મદદથી ગાંઠ બહાર આવશે.
રાજનેતાઓ પણ કથામાં હાજર રહ્યા હતા
કથાના બીજા દિવસે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી, જયપુર શહેરના સાંસદ મંજુ શર્મા, માલવિયા નગરના ધારાસભ્ય કાલીચરણ સરાફ અને સહકાર મંત્રી ગૌતમ ડાક હાજર રહ્યા હતા.