
અમદાવાદમાં 12 જૂને અમદાવાદથી લંડન જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલ ખાતે અથડાયું હતું. જેમાં 279 લોકોના મૃત્યુ નિપજ્યા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે DNAમેચ કરવાની કાર્યવાહી શરૂ છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 177 મૃતકોના DNA મેચ થઈ ચુક્યા છે. જોકે, હજુ સુધી DNA મેચ કરવાની પ્રક્રિયા શરૂ છે.
મંગળવાર સુધીમાં 21 મૃતદેહો પરિવારને સોંપાયા
નોંધનીય છે કે, મંગળવારે (17 જૂન) 21 મૃતકોના મૃતદેહો પરિવારને સોંપી દેવાયા છે. મળતી માહિતી મુજબ, દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત દર્દીઓમાંથી સારવાર માટે દાખલ કરવામાં આવેલા 71 દર્દીઓમાંથી 2 દર્દીના મૃત્યુ નિપજ્યા છે. જોકે, બાકીના 69માંથી 42ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 1 દર્દીની સ્થિતિ હજુ ખૂબ ગંભીર છે અને બાકીના દર્દીઓ સારવાર હેઠળ છે. જોકે, 30 મેડિકલ સ્ટુડન્ટમાંથી હવે ફક્ત એક જ સ્ટુડન્ટ દાખલ છે, અન્યને ડિસ્ચાર્જ કરી દેવાયા છે.
પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે
ડૉ.રાકેશ જોશીએ ઉમેર્યું હતું કે DNA સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે. જેમ જેમ પરિણામો આવતા જશે એમ એમ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે.