
ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તનાવપૂર્ણ સ્થિતિ વચ્ચે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ સજ્જ થઈ છે. ત્યારે એક પછી એક વિભાગો સાથે બેઠકો કરવામાં આવી રહી છે.
પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં ગુજરાત સરકાર દ્વારા સાવચેતીના ભાગરૂપે કોઇ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સર્વે વિભાગ તથા વિભાગના તાબા હેઠળની તમામ કચેરીઓ (ખાતાના વડા, બોર્ડ/નિગમ, પંચાયત, કોર્પોરેશન, સ્વાયત્ત સંસ્થા, અનુદાનિત સંસ્થાઓ વિગેરે)ના અધિકારી/કર્મચારીઓની બધા પ્રકારની રજાઓ (અનિવાર્ય સંજોગો સિવાયની) તાત્કાલિક અસરથી રદ કરવા તથા રજા ઉપર ગયેલ અધિકારી/કર્મચારીને તાત્કાલિક ફરજ પર હાજર કરવા જણાવવામાં આવ્યું છે.
વધુમાં, અધિકારી/કર્મચારીને વિભાગના વડા/ખાતાના વડા/કચેરીના વડાની પૂર્વ મંજુરી સિવાય મુખ્યમથક ન છોડવા પણ જણાવવામાં આવ્યું છે.
સિક્યુરિટી એજન્સીઓના અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક
મળતી માહિતી અનુસાર, ગુરૂવારે (અઠમી મે) મોડી સાંજે વડોદરા પોલીસ કમિશનરે મહત્ત્વના ઔદ્યોગિક એકમો, ફાયર વિભાગ,એરપોર્ટ સહિતની સીઆઇએસએફના અધિકારીઓ તેમજ વિવિધ સિક્યુરિટી એજન્સીઓના અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. પોલીસ કમિશનરે તમામ એજન્સીઓને સુરક્ષા અને સલામતીનું ઓડિટ કરવા માટે સૂચના આપી ઈમરજન્સી વખતે શું કરવું અને કેવી રીતે સંકલનમાં રહેવું તેવા મુદ્દા સહિતની કેટલીક મહત્ત્વની માર્ગદર્શિકા આપી હતી.