
મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને મધ્યપ્રદેશ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે કર્નલ સોફિયા કુરેશી અંગે આપેલા નિવેદનની સ્વતઃ નોંધ લઈને વિજય શાહ વિરુદ્ધ 4 કલાકની અંદર FIR નોંધવાનો નિર્દેશ આપ્યો.
ન્યાયાધીશ અતુલ શ્રીધરની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે રાજ્યના DGPને આદેશ આપતાં સ્પષ્ટ કર્યું કે, વિજય શાહ સામે તાત્કાલિક FIR નોંધવામાં આવે. કોર્ટે આ મામલે રાજ્યના એડવોકેટ જનરલ પ્રશાંત સિંહને પણ કડક સૂચનાઓ આપતા કહ્યું કે, કોઈપણ પરિસ્થિતિમાં FIR નોંધાવી જ જોઈએ.
હાઈકોર્ટે કહ્યું છે કે કેસની આગામી સુનાવણી સોમવારે સવારે થશે. કોર્ટના આ આદેશ બાદ રાજ્ય વહીવટીતંત્ર અને પોલીસ વિભાગમાં હલચલ તેજ થઈ ગઈ છે.
કેબિનેટ મંત્રી વિજય શાહે શું કહ્યું?
કેબિનેટ મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશીનું નામ લીધા વિના વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદનને કારણે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે.
વિજય શાહે પોતાના વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગી
વિજય શાહે માફી માંગતી વખતે કહ્યું હતું કે 'મારા સપનામાં પણ હું કર્નલ સોફિયા બહેન વિશે ખોટું વિચારી શકતો નથી. હું સેનાનું કોઈ અપમાન કરવાનું વિચારી પણ ના શકું. સોફિયાએ જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને દેશની સેવા કરી અને આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો, હું તેમને સલામ કરું છું. મારી કૌટુંબિક પૃષ્ઠભૂમિ પણ સેના સાથે સંબંધિત છે. આતંકવાદીઓ દ્વારા જેમના સિંદૂર ઉજાડ્યા, તેમની પીડાને ધ્યાને રાખીને મેં આ નિવેદન આપ્યું હતું. જો ઉત્તેજનામાં મારાથી કોઈ ખોટું નિવેદન આપી દેવાયું હોય તો હું તેના માટે માફી માંગું છું.