Waqf Amendment Bill: દેશમાં વક્ફ બોર્ડ સંશોધન બિલના મુદ્દે ઘમસાણ મચ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર આ બિલમાં વ્યાપક ફેરફારોની દરખાસ્ત મૂકવાનો મત ધરાવે છે. તો વિપક્ષી ઇન્ડિયા બ્લોક તેનો સખત વિરોધ કરી રહ્યો છે. આ મુદ્દે બંને પક્ષ વચ્ચે સમાધાનના કોઈ એંધાણ નથી. આ સ્થિતિમાં રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે, વક્ફ બિલથી ભાજપને એક તીરે બે નિશાન જેવા ફાયદા થશે. વાત એમ છે કે, હાલ અમેરિકાના ટેરિફના મુદ્દાને કારણે ભાજપ સરકારની છબી થોડી ખરડાઈ છે, પરંતુ વક્ફ બિલ ભાજપ માટે ડેમેજ કંટ્રોલનો મુદ્દો સાબિત થશે. વકફ બિલ લાવવાની ચર્ચા તો ક્યારની થઈ રહી હતી પરંતુ રાજકીય નિષ્ણાતોના મતે, 2 એપ્રિલે NDAએ તમામ સાંસદોને વ્હિપ કરીને આ બિલ લાવવાનું નક્કી કર્યું, તેનું એક કારણ અમેરિકાના ટેરિફના મુદ્દાથી લોકોનું ધ્યાન ભટકાવવાનું હોઈ શકે છે. આ ઉપરાંત બીજું કારણ નજીકના સમયમાં બિહાર વિધાનસભાની ચૂંટણી છે. વક્ફ બિલ લાવીને મુસ્લિમોના મતોનું ધ્રુવીકરણ અને બિહારમાંથી JDU અને ખાસ કરીને નીતિશકુમારની પકડને ઢીલી કરવાનું છે.

