
બિહારના મોતીહારીમાંથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. મોતીહારીના એક ગામમાં જાન લઈને આવેલા વરરાજા અને જાનૈયાઓને બંધક બનાવવામાં આવ્યા હતા. હકીકતમાં જ્યારે માળા વિધી પૂરી થયા પછી કન્યાએ માત્ર એટલા માટે લગ્ન કરવાની ના પાડી દીધી, કારણ કે તેને ખબર પડી કે છોકરો સંપૂર્ણપણે અભણ છે અને પૈસા પણ ગણી શકતો નથી. એ પછી બંને પક્ષો વચ્ચે ખૂબ તણાવ વધી ગયો હતો. દલીલ વધતાં મામલો એટલો બગડ્યો કે ગામલોકોએ આખીરાત વરરાજા પક્ષને બંધક બનાવી રાખ્યો. બીજા દિવસે પોલીસની દરમિયાનગીરી બાદ વરરાજા અને જાનૈયાઓને મુક્ત કરાયા હતા. ત્યાર બાદ જાનૈયાઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
વરમાળાની વિધી બાદ કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધી
બુધવારે રાત્રે પતાહી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં એક વિચિત્ર પરિસ્થિતિ પેદા થઈ હતી. જ્યારે વરમાળા વિધી બાદ કન્યાએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. મામલો એટલો ગરમાયો કે ગામલોકોએ વરરાજા અને તેના પરિવારના સભ્યોને ઘરમાં જ બંધક બનાવી દીધા. એ બાદ માહિતી મળતાં ગુરુવારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વરરાજા અને તેના પરિવારના સભ્યોને મુક્ત કરાવીને મામલો શાંત પાડ્યો હતો.
વરરાજા પૈસા યોગ્ય રીતે ન ગણી શક્યો
આ કેસ અંગે મળતી માહિતી પ્રમાણે ઘોડાસાહન પોલીસ સ્ટેશન વિસ્તારના કદમવા ગામથી એક લગ્નની જાન પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં આવી હતી. રાત્રે ધુમધામથી જયમાલા કાર્યક્રમ યોજાયો હતો. જાનૈયાઓ લગ્નના વરઘોડામાં ખૂબ નાચીને મજા કરી હતી. એ પછી નાસ્તાનો આનંદ પણ માણ્યો હતો. ત્યાં સુધી બધું સામાન્ય લાગતું હતું, પરંતુ આ દરમિયાન એક એવો વળાંક આવ્યો જેણે બધાને ચોંકાવી દીધી હતા. હકીકતમાં જયમાલા પછી એક પરંપરા મુજબ છોકરીના પક્ષે વરરાજાને ગણતરી માટે પૈસા આપ્યા હતા, પરંતુ વરરાજા પૈસા યોગ્ય રીતે ગણી શક્યો નહીં. કન્યાએ આ અંગે નારાજગી વ્યક્ત કરી અને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.
જાન લીલા તોરણે પાછી ફરી
કન્યાનું કહેવું હતું કે, જે વ્યક્તિ પૈસા પણ બરોબર રીતે ગણી શકતો નથી, તેની સાથે હું આખી જીંદગી કેવી રીતે વીતાવી શકું. કન્યાના ઈનકાર પછી વાતાવરણ તંગ બની ગયું હતું. કન્યા પક્ષના લોકો અને ગ્રામ લોકો આક્રોશમાં આવી ગયા હતા. તેમણે વરરાજા, તેના પિતા, ભાઈઓ સહિત અન્ય જાનૈયાને ઘરમાં જ બંધક બનાવી દીધા અને સવારે પોલીસની દરમિયાનગીરી બાદ લગ્ન કરાયા વગર જાન પરત ફરી હતી.