
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના ગંભીરા ગામને જોડતો તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથેનો સંપર્ક ધરાવતા મહી નદી પરના બ્રિજ પરના બે પિલર વચ્ચેનો સ્પાન(બે પિલરને જોડતો ગાળો) બુધવારે સવારે ધડાકાભેર તૂટીને નદીના વહેતા પાણીમાં પડયો હતો.
હજુ કેટલાક લોકો લાપતા
આ સાથે બે ટ્રક સહિતના અડધો ડઝન જેટલા વાહનો પણ નદીમાં પડતાં 14 વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતાં. તો બીજી તરફ દુર્ઘટના પછી કેટલાક લોકો હજુ લાપતા છે, તેમની શોધખોળ ચાલી રહી છે. હજુ પણ મોતનો આકડો વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
કાટમાળ નીચે લોકો દટાયા હોવાની સંભાવના
વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મહી નદી પરનો ગંભીરા બ્રિજ તરીકે ઓળખાતો આ બ્રિજ ૪૦ વર્ષ જૂનો છે અને ખખડધજ થઇ ગયો હતો. તેના સ્ટ્રક્ચરનું રિપેરિંગ કામ સમયાંતરે થતું હતું. ગત રોજ સવારે 7.00 વાગ્યાની આસપાસ આ બ્રિજ પરથી અનેક વાહનો પસાર થતા હતા ત્યારે ત્રણ અને ચાર નંબરના પિલરની વચ્ચેનો આશરે ૨૦ મીટર લાંબો સ્પાન ધડાકાભેર અચાનક ધરાશાયી થતા મોટો બ્રિજ બે ભાગમાં વહેંચાઇ જતા મોટી દુર્ઘટના બની હતી. બ્રિજ પરનો મોટો સ્પાન તૂટી પડતાં બે ટ્રક, એક ઇકો ગાડી, સીએનજી રિક્ષા અને એક બોલેરો પિકઅપ ઉપરથી આશરે ૧૮ મીટર નીચે નદીના વહેતા પાણીમાં ખાબક્યા હતાં.