
Sabarkantha News: સાબરકાંઠામાં BZ કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો ટાંચમાં લેવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં આવેલી મિલકતોને ટાંચમાં લેવામાં આવશે.
મિલકતો ટાંચમાં લેવા માટે આઠ મામલતદારોને હિંમતનગર નાયબ કલેકટરે પત્ર લખ્યો હોવાની માહિતી મળી રહી છે. હિંમતનગર, તલોદ, માલપુર, માણસા, મોડાસા સહિતના મામલતદારોને કાર્યવાહી માટે પત્ર લખ્યો છે. પ્રોપર્ટી કાર્ડમાં વિગત નોંધ કરવા નાયબ કલેક્ટરે જાણ કરી હતી. રોકાણકારોના ફસાયેલા નાણાં પરત મળે એ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જીપીઆઈડી એક્ટ હેઠળ રોકાણકારોને રકમ પરત અપાવવા મિલ્કતો ટાંચમાં લેવાશે.
BZ ગ્રુપ કૌભાંડ શું છે?
ગુજરાતમાં BZ ગ્રુપ કૌભાંડ એક મોટું નાણાકીય કૌભાંડ છે જેમાં BZ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને BZ ગ્રુપ નામની કંપનીઓએ લોકોને બેંકો કરતાં વધુ વ્યાજ (લગભગ 7% માસિક અથવા 84% વાર્ષિક) અને ઊંચું રિટર્ન આપવાની લાલચ આપીને રોકાણ કરાવ્યું હતું. આ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે, જે BZ ગ્રુપનો CEO હતો. આ કંપનીએ એક પોન્ઝી સ્કીમ ચલાવી, જેમાં નવા રોકાણકારોના પૈસામાંથી જૂના રોકાણકારોને વ્યાજ ચૂકવવામાં આવતું હતું.
શરૂઆતમાં આ કૌભાંડનું કદ 6000 કરોડ રૂપિયાનું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસ બાદ CID ક્રાઇમે જણાવ્યું કે ખરેખર આ રકમ લગભગ 172 કરોડ રૂપિયાની છે. આ રકમ 11,232 રોકાણકારો પાસેથી એકત્ર કરવામાં આવી હતી.