
મોરબીના ટંકારા નજીક નવજાત શિશુને જીવતું દાટીને નાસી જનાર નિષ્ઠુર દંપતી આખરે 25 દિવસની શોધખોળના અંતે ઝડપાયું છે. ચાર દિવસના માસૂમ બાળકના કપડાં પર લખેલા બનાસકાંઠાનાં આરોગ્ય કેન્દ્રના નામથી પોલીસને પગેરું મળ્યું હતું.
પાછું આવવું હોય તો બાળક ન જોઈએ
રિસામણે બેઠેલી પત્ની સગર્ભા બનતા પતિએ શંકા કરીને કહ્યું હતું કે, 'પાછું આવવું હોય તો બાળક ન જોઈએ.' બન્નેએ જવન્ય કૃત્ય આચર્યું હોવાનું ખુલ્યું છે. જેના આધારે પોલીસે બન્નેની સઘન પૂછતાછ કરવા સહિતની તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે.
જાણો શું છે સમગ્ર મામલો
ટંકારા તાલુકાના પુનડા ગામની સીમમાં 19મી માર્ચના રોજ પસાર થતા એક રાહદારીને બાળકના રડવાનો અવાજ આવ્યો હતો. તેમણે અન્ય લોકોની મદદથી શોધખોળ કરતા સૌના આશ્ચર્ય વચ્ચે જમીનમાં દાટી દેવાયેલી હાલતમાં જીવિત નવજાત શિશુ મળ્યું હતું. આ માસુમ બાળકને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડીને ટંકારા પોલીસ મથકમાં અજાણી માતા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
બાળકને પહેરાવેલા ઝબલા પર બનાસકાંઠા જિલ્લાના ભાભોર આરોગ્ય કેન્દ્રનું નામ
પ્રાથમિક તપાસમાં બાળકને પહેરાવેલા ઝબલા પર બનાસકાંઠા જિલ્લાના ભાભોર આરોગ્ય કેન્દ્રનું નામ લખ્યું હોવાથી પોલીસને એક કડી મળી હતી, પણ ત્યાં જઈને તપાસ કરતા ગુનાઈત કૃત્ય આચરનાર માતા-પિતાનો કોઈ અતોપતો લાગ્યો ન હતો.