
સુરતના હજીરાથી સચીન જીઆઈડીસી, પલસાણા તરફ જતા હજીરા-ધુલિયા નેશનલ હાઈવે પર આવેલી બુડિયા-ગભેણી ચોક્ડી પર નવનિર્મિત ફ્લાય ઓવર બ્રિજને આજે ખુલ્લો મુકાયો હતો. આ ઓવરબ્રિજને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ખુલ્લો મુક્યો હતો. આ વખતે તેમણે રાહુલ ગાંધી પર સીધા પ્રહાર કરતાં કહ્યું કે, ગમે તેટલાં આંટાફેરા મારે તેમને કાર્યકરો પર ભરોસો નથી અને નેતાઓને રાહુલ ગાંધી પર વિશ્વાસ નથી. જેથી તેઓ સફળ થવાના નથી.
નેતૃત્વને લઈને સવાલ
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીના નેતૃત્વ પર તેમના પક્ષના લોકોને જ વિશ્વાસ નથી. બે દિવસની મુલાકાતથી ગુજરાત તેમનું થઈ જશે નહીં. પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યમુનાની સફાઈ માટે માસ્ટર પ્લાન તૈયાર કરાયો હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. બુડિયા અને ગભેણી ચોક્ડી અકસ્માત ઝોન બની ગયો હતો. અહીં અવારનવાર બનતી અકસ્માતની ઘટનાને પગલે આસપાસના ગામના રહીશોએ વિરોધ કર્યો હતો, તેના પગલે અહીં બમ્પર બનાવાયા હતા. જેથી રોજ પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા ઉદ્દભવતી હતી.
40 કરોડના ખર્ચે બન્યો બ્રિજ
આખરે તંત્રએ આ સમસ્યાના નિરાકરણ માટે અહીં 40 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનાવ્યો છે. આ ફ્લાયઓવર અને અંડરપાસ હવે વાહનચાલકો માટે ખુલ્લો મુકાઈ ગયો છે. હવે નવા બ્રિજથી આવી દુર્ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે તેવી ધારણા છે. આ નવી સુવિધાથી રોજના અંદાજે 50,000થી વધુ વાહનોને ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે. હજીરાની દિશામાં આવેલી અદાણી, રિલાયન્સ, એએમએનએસ જેવી મહાકાય ઔદ્યોગિક એકમો, ડાયમંડ બુર્સ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ), તથા સચિન અને પાંડેસરા જીઆઈડીસી તરફ જતા વાહનો અહીંથી અવરજવર કરે છે. પરિણામે આ હાઇવે સર્વત્ર વ્યસ્ત રહેતો હોય છે.