
દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 4,866ની પાર થઈ ગઈ છે. દેશમાં કોરોનાને કારણે સાત લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે ગુજરાતમાં આજે શુક્રવારે (6 જૂન) કોરોનાના 170 નવા કેસ નોંધાતા રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 717 પર પહોંચ્યા છે.
કોરોનાના 170 નવા કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 170 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 717 પર પહોંચી ગઈ છે. જેમાંથી 23 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 694 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 68 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.
વડોદરામાં ધીમી ધારે કોરોનાના કેસ વધી રહ્યા છે
વડોદરામાં આજે વધુ 14 કેસ નોંધાયા છે અને કુલ કોરોના કેસોની સંખ્યા 20 પહોચી છે. તમામ દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. શહેરના ભાયલી, છાણી, રામદેવ નગર અને દિવાળી પુરા સહીતના વિસ્તારમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જેને પગલે વડોદરા મહાનગરપાલિકા એક્શન મોડમાં આવ્યું છે.
સુરત જિલ્લામાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ
જિલ્લાના પલસાણા અને બારડોલીમાં કોરોનાનો પગપેસારો થયો છે. બારડોલીમાં 2 અને પલસાણા તાલુકામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 3 દર્દીઓને હોમઆઇસોલેટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 7 કોરોના એક્ટિવ કેસ છે.
સાબરકાંઠા જિલ્લામાં કોરોના બે કેસ નોંધાતા હડકંપ
કોરોનાના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. હિંમતનગરના મહાવીર નગર વિસ્તાર તેમજ જીએમએસ મેડિકલ કોલેજના ડોક્ટરને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ બંને હોમ આઈસોલેટ થયા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 50 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. વધુ કેસ આવે તો તંત્ર એલર્ટ મોડમાં આવશે.